PACને RBI ગવર્નર ઉર્જિત પટેલે આપ્યું આશ્વાસન, ટૂંકમાં જ દૂર થશે રોકડની મુશ્કેલી
ઉર્જિત પટેલે PACને જણાવ્યું કે, નોટબંધી બાદ રોકડનો કકળાટ દૂર કરવા માટે કેન્દ્ર સરકારે દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપ્યું છે. ઉર્જિત પટેલની સાથે આ બેઠકમાં ડેપ્યૂટી ગવર્નર પણ PAC સામે હાજર થયા હતા.
RBI ગવર્નરે PACને જણાવ્યું કે, નોટબંધી બાદ શહેરી વિસ્તારમાં રોકડ અછત મહદઅંશે દૂર થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારમાં રોકડ અછત દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
પટેલે જણાવ્યું કે, નોટબંધીની જીડીપી પર થોડા સમય માટે અસર પડી છે પરંતુ લાંબા ગાળે તેમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. તેમણે કહ્યું કે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. એટલું જ નહીં બેંકો અને સર્વિસ આપનારા લોકો માટે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના ચાર્જમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, વિતેલા સપ્તાહે પણ પટેલ PAC સામે હાજર થયા હતા અને ત્યાં તેમને પૂછવામાં આવ્યું હતું કે નોટબંધી બાદ સામાન્ય માણસને પડી રહેલી હાલાકીને ઓછી કરવા માટે શું પગલા લીધા છે. જોકે તેમણે સમિતિના અનેક સવાલોના જવાબ આપ્યા ન હતા અને જણાવ્યું હતું કે, નોટબંધી બાદ 9.2 લાખ કરોડ રૂપિયાની નવી નોટ બજારમાં આવી ગઈ છે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલ અનુસાર નોટબંધીને કારણે ઉભી થયેલી રોકડની મુશ્કેલી ટૂંકમાં જ દૂર થશે. ઉર્જિત પટેલે શુક્રવારે સંસદની લોક લેખા સમિતિ (PAC) સામે હાજર થયા હતા.