સરકારે પ્રાઈવેટ કર્મચારીઓને આપી મોટી રાહત, PFના નિયમમાં કર્યા મહત્ત્વપૂર્ણ ફેરફાર, જાણો
નવી દિલ્હીઃ હવે પ્રાઇવેટ કર્મચારીઓ માટે પીએફ કપાવવું ફરજિયાત નહીં રહે. પગારમાંથી પીએફ કપાવવું કે નહં તે કર્મચારી પર આધાર રાખશે. કેન્દ્ર સરકારે તેના માટે નિયમમાં ફેરફાર કર્યા છે. સરકાર કર્મચારીઓને પીએફમાં અંશદાન કરવાને લઇને એક નવો વિકલ્પ આપવા જઇ રહી છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે રેડીમેઇડ વસ્ત્રના ક્ષેત્રમાં ૧પ,૦૦૦ રૂ.થી ઓછુ વેતન મેળવનારા કર્મચારીઓના વેતનમાંથી પીએફ કાપવાની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે.
હવે એ સંપુર્ણ રીતે કર્મચારી ઉપર નિર્ભર રહેશે કે તે પીએફ અંશદાન કરશે કે નહી? પીએફ અંશદાનના સ્વરૂપમાં મુળ વેતનનો ૧ર ટકા હિસ્સો ચુકવવાનો હોય છે જો કે કંપનીઓ કર્મચારીઓ માટે અંશદાન કરતી રહેશે. માનવામાં આવે છે કે, આવતા સમયમાં સરકાર તેનો વ્યાપ વધારી શકે છે.
ઇપીએફ એકટમાં કોઇ ફેરફાર વગર સરકારે આ વ્યવસ્થા કરી છે. મંત્રીમંડળના કહેવા મુજબ રેડીમેઇડ કપડાના ક્ષેત્રમાં રોજગારી અને નિકાસ વધારવા આ નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી સંગઠીત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ જેનુ વેતન ૧પ,૦૦૦ રૂપિયાથી ઓછુ હોય તેમના માટે પીએફમાં અંશદાન કરવાનુ અનિવાર્ય રહ્યુ છે. મંત્રીમંડળના આ ફેંસલાથી અન્ય ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ રસ્તો ખુલી શકે છે.