PF કન્ટ્રીબ્યૂશન ઘટાડીને 10 ટકા કરી શકે છે EPFO
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) બોર્ડના ટ્રસ્ટીઓ સામાજિક સુરક્ષા યોજનાઓમાં ફરજિયાત કન્ટ્રીબ્યૂશન ઘટાડીને 10 ટકા કરવા પર આજે મંજૂરી આપી શકે છે. હાલની વ્યવસ્થા અંતર્ગત કર્મચારી અને કંપની ઈપીએફ, કર્મચારી પેંશન યોજના તથા કર્મચારી જમા સંબંદ્ધ વીમા યોજનામાં કુલ મળીને મૂળ પગારના 12-12 ટકા રકમ કન્ટ્રીબ્યૂટ કરે છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે ઈપીએફઓની પૂણેમાં બેઠક યોજાઈ રહી છે. એવી દલીલ થઈ છે કે, આ પ્રસ્તાવથી કર્મચારીઓને માસિક વેતનમાં વધુ પૈસા હાથ પર આવશે. સાથોસાથ માલિક ઉપરનો ભાર પણ હળવો થશે. જો કે ટ્રેડ યુનિયનોને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. હાલ કંપની અને કર્મચારી પીએફ, પેન્શન અને વિમા સ્કીમમાં એક સમાનરૂપથી પગારના ૧૨ ટકા રકમ જમા કરાવશે.
ઈપીએફઓમાં જે અંશદાન થાય છે તેની ગણતરી મૂળ પગાર અને ડીએમાંથી થાય છે. જો આજે નિર્ણય લેવાશે તો આવતા વખતથી કર્મચારી વધુ પગાર ઘરે લઈ જઈ શકશે. સરકારનું કહેવુ છે કે, આનાથી કર્મચારી વધુ ખર્ચ કરી શકશે અને અર્થતંત્રને આગળ વધારવામાં મદદ મળશે.
જો કે યુનિયનોનું કહેવુ છે કે આ પગલુ કર્મચારીઓના હિતમાં નથી. આવુ કરવાથી કર્મચારીઓને ૪ ટકાનુ નુકશાન થશે. આવુ એટલા માટે કે કર્મચારી અને કંપની બન્ને લોકો ૧૨ - ૧૨ ટકા સમાનરૂપથી રકમ જમા કરાવે છે. જો આ પ્રસ્તાવ લાગુ થયો તો તે ઘટીને ૨૦ ટકા આવી જશે. હાલ કુલ યોગદાન કર્મચારી અને માલિકનું અંશદાન ૨૪ ટકા છે.