GST લાગુ થવાની ઈ-કોમર્સ સાઈટ્સ પર કોઈ અસર નહીં, મળી રહ્યું છે 80% સુધી ડિસ્કાઉન્ટ
જુલાઈથી જીએસટી લાગુ થશે એટલે અનેક વસ્તુઓના ભાવ વધવાની આશંકા દર્શાવીને ફ્લિપકાર્ટ, એમેઝોન, પેટીએમ મોલ સહિતની ઈ-કોમર્સ કંપનીઓના વેન્ડર્સે હાર્ડવેર, હોમ એપ્લાયન્સીઝ અને ફર્નિચર જેવી વસ્તુઓની વધેલી માંગને પગલે પુરવઠો પણ વધારી દીધો છે. જેમણે જીએસટી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેમને આ પ્લેટફોર્મ પરથી હટાવી દેવાયા છે અને તે લોકો તેમનો સ્ટોક ઝડપથી ક્લીયર કરાવવામાં લાગી ગયા છે. તેને કારણે હજી પણ જંગી ડિસ્કાઉન્ટની ઓફર થઈ રહી છે.
નવી દિલ્હીઃ એક બાજુ લોકો એવું માનતા હતા કે જીએસટી લાગુ થયા બાદ મોટાભાગની લોકપ્રિય ઈ-કોમર્સ વેબસાઈટ પર ચાલનારું ઓનલાઈન સેલ ખતમ થઈ જશે, પરંતુ એવું બિલકુલ થયું નથી. ઓનલાઈન સેલ પર જીએસટીની કોઈ અસર જોવા નથી મળી રહી અને આ ઈ-કોમર્સ સાઈટ્સ પર કેટલીક પ્રોડક્ટ્સ પર તો આજે પણ 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આપી રહ્યું છે.
ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર સૌથી વધુ માંગ ફેશન પ્રોડક્ટ્સની છે. તાજેતરમાં જ ફ્લિપકાર્ટે કેટલીક ફેશન બ્રાન્ડ્સ લોન્ચ કરી છે. દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની હજી પણ બેગ અને ઘડિયાળ સહિત ફેશન પ્રોડક્ટ્સ પર ૭૦ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. એમેઝોન ઈન્ડિયા પણ એડિડાસ, લિવાઈસ અને યુસીબી બ્રાન્ડ્સ પર આ જ પ્રકારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.
શોપક્લૂઝ સ્પોર્ટ્સ વેર પર ૮૦ ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપની કહે છે કે જીએસટી લાગુ થયા પછી પણ ઓનલાઈન અને ઓફલાઈન વેચાયેલા સામાન પર ટેક્સમાં ખાસ કોઈ અંતર સમજાયું નથી એટલે માંગ અને વેચાણ પર કોઈ અસર થઈ નથી. કંપનીએ કહ્યું છે કે ફર્નિચરના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેમાં નફો પણ સારો થઈ રહ્યો છે. જીએસટીમાં લાકડાની વસ્તુઓ પર ૨૮ ટકા ટેક્સ લાગુ કરાયો છે, જેને કારણે તેના ભાવમાં વધારો થશે તે નક્કી છે. પેપરફ્રાય હેપી જીએસટી સેલમાં પંચાવન ટકા સુધી ઓફર આપી રહી છે. ફ્લિપકાર્ટ પણ હોમ અને ફર્નિચર આઈટમ્સ પર ૮૦ ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે.
ઈ-કોમર્સ સાઈટ્સના સંચાલકોને ખબર છે કે ગ્રાહકોના મનમાં શંકા છે કે જીએસટીને કારણે ઘણી વસ્તુઓના ભાવ ઘટશે કે વધશે. આ અનિશ્ચિતતાને કારણે ગ્રાહકો ધડાધડ ખરીદી કરી રહ્યા છે અને કંપનીઓ તેનો લાભ લઈ રહી છે. તેને કારણે વેચાણ વધ્યું છે. આથી જ જીએસટી અમલી બન્યા પછી પણ ઓનલાઈન વેચાણ સતત વધી રહ્યું છે અને ઓફર પણ ચાલી રહી છે.