ATMમાંથી ત્રણ મહિના બાદ મળશે 200 રૂપિયાની નવી નોટ, જાણો શું છે કારણ...
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે 200 રૂપિયાની નવી નોટોનો સપ્લાય ટૂંકસમયમાં વધારવામાં આવશે. પરંતુ તેનો કોઇ ચોક્કસ સમયગાળો આપ્યો નથી.
કેટલીક બેન્કોએ મશીનોના રિકેલિબ્રેશન માટે નવી નોટની ચકાસણી શરૂ કરવા એટીએમ કંપનીઓને કહ્યું છે. જોકે આ કંપનીઓને હજુ નવી નોટોનો પુરવઠો મળ્યો નથી. એટીએમ બનાવતી કંપનીઓએ જણાવ્યું હતું કે તેમને રૂપિયા ૨૦૦ની નોટ માટે એટીએમના રિકેલિબ્રેશન અંગે રિઝર્વ બેન્ક તરફથી કોઇ નિર્દેશ મળ્યો નથી. કેટલીક બેન્કોને નવી નોટની ચકાસણી શરૂ કરવા અનૌપચારિક જાણ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં નોટબંધીની જાહેરાત પછી 2000 રૂપિયા અને 500 રૂપિયાની નવી નોટો માટે એટીએમ મશીનોને રીકેલિબરેશન કરવામાં બેન્કો વ્યસ્ત બની ગઇ હતી.
દેશભરમાં 2.25 લાખ એટીએમ મશીનો છે ત્યારે આ તમામ મશીનો નવી નોટ માટે રીકેલિબરેટ કરી દેવાશે કે તબક્કાવાર ધીમેધીમે થશે એ અંગે અચોક્કસતા છે. એટીએમ મશીન ઉત્પાદક AGS ટ્રાન્ઝેક્ટ ટેકનોલોજી લિમિટેડના ચેરમેન અને એમડી, રવિ બી ગોયલે IANSને જણાવ્યું હતું કે, `અમને આરબીઆઇ તરફથી સૂચના મળે તે પછી રીકેલિબરેશનની પ્રક્રિયા શરૂ થશે.' ગોયલે વધુમાં જણાવ્યું હતું, `મશીનોને રીકેલિબરેશન કરવા માટેની સમગ્ર પ્રક્રિયા તેમની રેગ્યુલર કામગીરીને અસર ન પહોંચે તે રીતે પૂરી કરવામાં 90 દિવસ લાગી જશે.'
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂપિયા ૨૦૦ની નોટ એક અઠવાડિયા અગાઉ રજૂ કરી દીધી છે. પરંતુ નવા ચલણની નોટની એટીએમમાં વહેંચણી શરૂ કરવામાં ત્રણ મહિનાનો સમય લાગે તેમ છે. કારણ કે એટીએમમાં રૂપિયા ૨૦૦ની નોટ ગોઠવવા માટે એટીએમના રિકેલિબ્રેશનની મોટી કવાયત હાથ ધરવી પડશે.