ધીરૂભાઈ અંબાણીઃ સિર્ફ નામ હી કાફી હૈ, બર્થ ડે પર જાણો રસપ્રદ કિસ્સાઓ
90ના દાયકામાં અમિતાભ બચ્ચને ABCL કંપની શરૂ કરી હતી. જોકે, આ કંપનીને કારણે અમિતાભ નાણાકીય મુશ્કેલીમાં મુકાયા હતાં. લેણદારો અમિતાભ બચ્ચન દરવાજે આવીને રોજ પૈસા માંગતા હતાં. જ્યારે તેમનું બેંક બેલેન્સ ઝીરો હતું. આ સમયે ધીરૂભાઈએ તેમને મદદની ઓફર કરી હતી, પરંતુ બચ્ચને ઘણી જ વિન્રમતાથી આ મદદ લેવાની ના પાડી હતી. દેવું ચૂકવી દીધા બાદ કોઈ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચન ધીરૂભાઈના ઘરે આવ્યા હતાં. આ સમયે ધીરૂભાઈએ તેમના બિઝનેસમેન ફ્રેન્ડ્સ આગળ કહ્યું હતું, ''આ છોકરો દેવાના ડુંગર નીચે દબાઈ ગયો હતો પરંતુ તેમાંથી પોતાની મેળે બહાર આવ્યો હતો. તેના માટે ઘણું જ માન છે.'' અમિતાભને આ શબ્દો સંપત્તિ કરતાં પણ વધુ મહત્વના લાગ્યા હતાં. આ કારણે જે બચ્ચને તાજેતરમાં જ રિલાયન્સની 40 વર્ષની ઉજવણીમાં ધીરૂભાઈનું જીવન ગીતા ઉપદેશથી ઉતરતું નથી તેમ કહ્યું હતું.
ધીરૂભાઈ આટલી મોટી હસ્તી બની ગઈ હોવા છતાં તેમના બાળપણના મિત્રોને ક્યારેય ભુલ્યા નહોતા. હંમેશા તેમની મદદ કરવા માટે આવી પહોંચતા હતા. એકવાર ચોરવાડમાં જમણવાર કરીને ધીરૂભાઈનો પરિવાર જે મકાનમાં ભાડે રહેતો હતો ત્યાં પહોંચી ગયા હતા અને બાળપણના ગોઠિયાઓને એકઠા કરી ડાયરો જમાવ્યો. તે સમયે મકાન માલિકની દીકરી સાથે તેઓ જે રીતે વાતો કરતા તે જોઈને કોઈ કહી ન શકે કે આ વ્યક્તિ ભારતની સૌથી મોટી કંપનીના માલિક છે. બાળપણના ગોઠિયાઓ સાથે જૂની વાતો તાજી કરીને મુક્ત મને હસી પડતા.
ધીરૂભાઈએ સૌથી પહેલા મરી-મસાલા બજારમાં કામ કર્યું. તાજેતરમાં આ વાતનો ખુલાસો રિલાયન્સના 40 વર્ષ પૂરા થવાની ઉજવણી દરમિયાન અમિતાભ બચ્ચને ધીરુભાઈના પૌત્ર-પૌત્રીઓ સામે ગેમ રમીને પણ કર્યો હતો. મુંબઈમા તેમની નાની ઓફિસ યાર્ન બજારની બાજુમાં જ હતી. તેથી તેમને યાર્ન બજારમાં પૈસા કમાવાની તક દેખાવા લાગી. યાર્ન બજાર વિશે કંઈ ન જાણતા ધીરૂભાઈએ આ વિશે ખૂબ વાંચ્યુ અને યાર્ન બજાર વિશેની માહિતી મેળવવાનું શરૂ કર્યું. યાર્નના કામકાજમાં વધારે નાણાનું રોકાણ કરવુ પડતુ હોવાથી અને પૈસા ન હોવાથી આ જમાનામાં કેટલાક ગુજરાતી બિલ્ડરો ઊંચા વ્યાજે નાણાં ધીરવાનું કામ કરતા હતા. આવા સંજોગોમાં ધીરૂભાઈએ નાણાંની ચિંતા કર્યા વિના યાર્નના બિઝનેસમાં ઝંપલાવી પ્રાથમિક તબક્કે જ બજારનું રૂખ પારખી આગળ નીકળવા લાગ્યાં. તેમણે નાણાં ધીરનારાઓને ઊંચું વ્યાજ ચૂકવવાનું શરૂ કર્યું. કોઈ મોટા નફાના સોદામાં ધીરૂભાઈ વ્યાજ ઉપરાંત થોડું બોનસ પણ આપતા. આ કારણે નાણા ધીરનારા લોકો સામે ચાલીને ધીરૂભાઈ પાસે આવવા લાગ્યા. બિલ્ડરો અને વેપારીઓ રોજ સાંજે નાણાંની થોકડીઓ લઈને લોન આપવા તેમની ઓફિસે લાઈન લગાવતા.
ધીરૂભાઈ અંબાણીનો જન્મ ગુજરાતના જૂનાગઢ પાસે આવેલ ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક પરિવારમાં થયો હતો. 16 વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા. તેમણે 300 રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું.માં કામ કર્યું હતું. કોકિલાબેન સાથે તેમના લગ્ન થયા હતાં અને બે દીકરા મુકેશ અને અનિલ અંબાણી તથા બે દીકરીઓ નિતા કોઠારી અને રિના સલગાંવકર છે. ધીરૂભાઈ અંબાણી હંમેશા ભારતને એક મહાન રાષ્ટ્ર બનાવવા માગતા હતા. યમનથી મુંબઈ આવી શરૂ કરેલી રિલાયન્સનું નામ આ માણસે 2002 સુધીમાં તો વિશ્વમાં ગુંજતુ કરી દીધું હતું. ધીરૂભાઈએ નાનપણથી જ શરૂ કરેલી સંઘર્ષમય સફરમાં અનેક પડકારોનો હિંમતભેર સામનો કર્યો હતો.
અમદાવાદ: ધીરૂભાઈ અંબાણી આ નામ માત્ર ગુજરાત-ભારત જ નહીં વિશ્વના કોઈ પણ દેશમાં આ નામ અજાણ્યું નથી. રિલાયન્સના સ્થાપક એવા ધીરૂભાઈ અંબાણીની આજે 85મી જન્મજયંતિ છે. આજે ‘રિલાયન્સ એટલે ધીરૂભાઈ, અને ધીરૂભાઈ એટલે રિલાયન્સ’ એક બીજાના પર્યાય બની ગયા છે. ગુજરાતના નાનકડા એવા ચોરવાડ ગામમાં જન્મેલા ધીરૂભાઈ હીરાચંદ અંબાણીએ અથાગ મહેનત અને સમયને પારખી લેવાની શક્તિથી ઉભા કરેલા મસમોટું સામ્રાજ્ય પોતાના બંન્ને પુત્રો સંભાળી રહ્યાં છે.
ધીરૂભાઈ અને તેમના મિત્રો ઘણીવાર બોટમાં મધદરિયે જઈને પાર્ટી કરતા હતા. એકવાર વાતવાતમાં મિત્રો વચ્ચે શરત લાગી કે, જે દરિયામાં જમ્પ મારીને કીનારે જઈને આવશે તેનએ એક આઈસક્રીમનો બાઉલ આપવામાં આવશે. જોકે, તમામે વાત નકારી અને કહ્યું કે, એક આઈસક્રિમ માટે આટલું જોખમ શા માટે ખેડવું પડે. જો કે દરિયામાં અનેક શાર્ક પણ હતી. પણ આખરે પડકારોનો સામનો કરનાર ધીરૂભાઈ અને તેમના એક મિત્ર આગળ આવ્યા અને શરતનો સ્વિકાર કરી દરિયામાં જમ્પ મારી દીધો. દરિયા કિનારે જઈને પાછા આવીને ધીરૂભાઈએ વટથી કહ્યું કે, 'લાવો મારો આઈસક્રીમ!'
ધીરૂભાઈને દરેક બિઝનેસ કે દરેક ક્ષેત્રમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે તમામ વસ્તુઓની સાથે યાર્નના ભાવ ગગડી ગયા હતા. વિરોધીઓ પણ મોકાની રાહ જોતા હતા તેમ બજારમાં અફવા ફેલાઈ કે ધીરૂભાઈને નુકસાની કરીને યાર્નનો માલ કાઢવો પડ્યો છે. આ અફવાથી ધીરૂભાઈને નાણા ધીરનારા ગભરાઈ ગયા. બિઝનેસમાં હરીફો અન્યને નુકસાન પહોંચાડવા કઈ હદે જતા હોય છે, તેનો પહેલો અનુભવ ધીરૂભાઈને થયો. મિત્રો અને સાથીદારોએ ધીરૂભાઈને થોડા દિવસ બજારમાં ન દેખાવાની સલાહ આપી. ધીરૂભાઈએ આ સલાહ ન માની અને થોડી વિચારણા કરી યાર્ન બજારના નોટિસ બોર્ડ પર જાહેરાત ચોંટાડી દીધી. ધીરૂભાઈ જાહેરાત કરી કે રિલાયન્સને નાણાં ધીર્યા હોય તેમણે તરત જ પોતાના પૈસા પાછા લઈ જવા અને તે પણ પોતાની પસંદગીની રૂપિયાની નોટોમાં મળશે! જોકે આ જાહેરાત બાદ ઉલટાનો ધીરૂભાઈ પર લોકોનો વિશ્વાસ વધ્યો હતો.