ઘેર બેઠા આધાર સાથે મોબાઈલ નંબરને કરી શકાશે લિંક, જાણો કેવી રીતે
નવી દિલ્હીઃ મોબાઈલને આધાર સાથે લિંક કરવાને લઈને કેટલી મુશ્કેલી અને મુંઝવણ બન્ને છે. સરકારે તેને લિંક કરાવવાની છેલ્લી તારીખ જાહેર કરી દીધી છે. અત્યાર સુધી લિંક કરાવવા માટે મોબાઈલ ઓપરેટરોએ પોતાના બાયોમેટ્રિક આપવા જરૂરી હતા પરંતુ હવે UIDAI એ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે યૂઝર્સે 1 ડિસેમ્બરથી બાયોમેટ્રિક આપવાની જરૂરત નહીં રહે. તેના માટે જે યૂઝર્સે અત્યાર સુધી મોબાઈલને આધાર સાથે લિંક કરાવ્ય નથી તે 1 ડિસેમ્બર સુધી રાહ જુએ. UIDAIએ કહ્યું કે, યૂઝર્સની પાસે અધિકાર છે કે તે સિમ કાર્ડ રિટેલરને પોતાના ફિન્ગરપ્રિન્ટ આપ્યા વગર જ લિંક કરાવી શકશે.
ટેલિકોમ કંપનીઓના સૂચનો અનુસાર ગ્રાહકો વેરિફિકેશન માટે આધાર અને મોબાઇલની માહિતી ચોક્કસ નંબર પર મોકલશે. ટેલિકોમ કંપની UIDAI સાથે માહિતીની ચકાસણી કરશે અને રિ-વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી કરશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વન-ટાઇમ પાસવર્ડનો ઉપયોગ નહીં કરી શકનારા ગ્રાહકોના ઘરની મુલાકાત દીઠ ₹200ના ચાર્જનો પ્રસ્તાવ મૂક્યો છે.
DoTએ ગયા મહિને ટેલિકોમ કંપનીઓને ત્રણ સિસ્ટમ્સ દ્વારા રિ-વેરિફિકેશનની મંજૂરી આપી છે. જેમાં SMS દ્વારા વન-ટાઇમ પાસવર્ડ, ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ અને ટેલિકોમ કંપનીની મોબાઇલ એપ દ્વારા વેરિફિકેશનની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. વિવિધ વિકલ્પોનો હેતુ ગ્રાહકોની અગવડ ટાળવાનો છે. જેથી ગ્રાહકોએ ટેલિકોમ આઉટલેટની બહાર લાંબી લાઇનમાં ન ઊભા રહેવું પડે.
ટેલિકોમ ડિપાર્ટમેન્ટે પાસકોડ, ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશનનો ઉપયોગ નહીં કરી શકનારા અથવા ટેલિકોમ રિટેલ સ્ટોર્સ પર જવા અસમર્થ લોકોને આંખની કીકી આધારિત બાયોમેટ્રિક ડિવાઇસ દ્વારા રિ-વેરિફેશનને મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ગ્રાહકોને બેન્ક ખાતાં અને મોબાઇલ નંબર આધાર સાથે લિંક નહીં થાય તો ખાતું કે ફોન નંબર બંધ થઈ જશે એવો ગભરાટ ફેલાવવા બદલ બેન્કો અને મોબાઇલ ફોન કંપનીઓની ઝાટકણી કાઢી હતી. સરકારના જણાવ્યા અનુસાર તમામ મોબાઇલ યુઝર્સે 6 ફેબ્રુઆરી 2018 સુધીમાં નંબરને આધાર સાથે લિંક કરવાનો રહેશે. હજુ સુપ્રીમ કોર્ટમાં આધારની કાયદેસરતા અંગે સુનાવણી બાકી છે.