પેટ્રોલ પંપ પર કાર્ડથી ખરીદી કરો છો? તો જાણો ક્યા કાર્ડથી ખરીદી પર લાગશે ચાર્જ? શું લેવાયો નિર્ણય?
નવી દિલ્હીઃ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડિઝલ ખરીદવા પર સરચાર્જને લઈને સરકારે સ્પષ્ટતા કરી છે. સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પેટ્રોલ પંપો ઉપર ડેબીટ કાર્ડથી પેટ્રોલ કે ડિઝલ ખરીદવા ઉપર ગ્રાહકે કોઇ વધારાનો ચાર્જ આપવો નહી પડે પરંતુ જો કોઇ ગ્રાહક આ માટે ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરશે તો તેની પાસેથી ચાર્જ લેવામાં આવશે.
જોકે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદવામાં આવતા પેટ્રોલ અને ડીઝલ પર પેટ્રોલ પંપના ડિલરોએ કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે.
ઓલ ઇન્ડિયા પેટ્રોલીયમ ડિલર્સ એસોસીએશનના અધ્યક્ષ અજય બંસલે જણાવ્યુ છે કે, ડેબીટ અને ક્રેડીટ કાર્ડથી પેટ્રોલ પંપ પર ખરીદી ઉપર લાગતા વધારાના ચાર્જ જેને ટેકનીકલ ભાષામાં એમડીઆર કહેવાય છે તેના પર ગઇકાલે એક ઉચ્ચકક્ષાની બેઠક યોજાઇ હતી.
જેમાં ઓઇલ કંપનીઓ અને બેંકરો હાજર રહ્યા હતા. જેમાં નક્કી થયુ છે કે જો કોઇ ગ્રાહક ડેબીટ કાર્ડથી પેટ્રોલ-ડિઝલની ખરીદી કરશે તો તેના પર એમડીઆર લાગુ નહી પડે પરંતુ એ જ ગ્રાહક જો ક્રેડીટ કાર્ડથી ખરીદી કરશે તો પછી બેંક એ ગ્રાહક પાસેથી નિયમ મુજબ એમડીઆર વસુલશે.
જો કે બંને પ્રકારના કાર્ડની ખરીદીની સ્થિતિમાં ડિલર પર કોઇ વધારાનો ચાર્જ નહી લાગે. તેમનુ કહેવુ હતુ કે, ડેબીટ કાર્ડથી ખરીદીમાં ગ્રાહકના ખાતામાંથી તુરંત પૈસા કપાય જાય છે જયારે ક્રેડીટ કાર્ડથી ખરીદીમાં ઉધારીથી ખરીદી થાય છે. તેથી જયારે ગ્રાહક ઉધારમાં કોઇ ચીજ લેતો હોય તો તેણે ચાર્જ ભરવો પડે. પેટ્રોલ પંપ ડિલર કે કંપની ચાર્જ શા માટે ભોગવે?