SBIએ વ્યક્ત કરી આશંકા: નોટબંધીને કારણે આગળ પણ મંદી જારી રહેશે
સ્ટેટ બેન્કે જણાવ્યું હતું કે નોટબંધી પછી બેન્કોની કાસા(કરંટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ) થાપણોમાં વધારો થયો હતો. સ્પર્ધા વધતાં જો બેન્ક સફળતાપૂર્વક સ્પર્ધા નહિ કરી શકે તો વ્યાજના નેટ માર્જિન અને અન્ય આવક પર વિપરીત અસર થઇ શકે છે અને તેની નફાકારકતા ઘટી શકે છે.
નરેન્દ્ર મોદી સરકાર માટે ક્ષોભજનક સ્થિતિનું નિર્માણ કરી શકે તેવા એક અહેવાલમાં દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે નોટબંધીને કારણે દેશમાં મંદી છે અને આ મંદી હજી ચાલુ રહે તેવી શક્યતા છે. આ પગલાંની ભારતીય અર્થતંત્ર પર લાંબાગાળાની અસર અનિશ્ચિત છે. પ્રાઇવેટ પ્લેસમેન્ટ થકી રૂપિયા ૧૫,૦૦૦ કરોડના શેરોના વેચાણ અગાઉ સંસ્થાકીય રોકાણકારોને સંબોધતાં બેન્કે કહ્યું હતું કે નોટબંધીથી આર્થિક મંદી આવી છે અને તેને કારણે મંદી વધુ લાંબાગાળા સુધી ચાલુ રહી શકે તેમ છે. આને કારણે બેન્કના વ્યવસાયને અસર થઇ શકે છે.
નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ આશંકા વ્યક્ત કરી છે કે નોટબંધીને કારણે અર્થતંત્ર પર મંદીની અસર આગળ પણ જારી રહેશે. એટલું જ નહીં તેના કારણે પોતાના કારોબાર પર પણ નકારાત્મક અસર જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે 8 નવેમ્બર, 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ 500 અને 2000 રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવી હતી.