વાહન ચાલકો માટે ખુશ ખબર, પેટ્રોલ પંપ ડીલરોની 13 તારીખની હડતાળ મોકૂફ
ગુજરાત બાદ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી. આ ત્રણેય રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી ગઈ છે. ભાજપ શાસિત મહારાષ્ટ્ર અને ગુજરાતે વેટમાં ચાર ટકાનો ઘટાડો કર્યો છે જ્યારે કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશે વેટમાં માત્ર એક ટકાનો ઘટાડો કર્યો છે.
નવી દિલ્લી: વાહન ચાલકો માટે એક મોટા રાહતભર્યા સમાચાર છે. 13 ઓક્ટોબરે થનારી પેટ્રોલ પંપ ડીલરોની હડતાળ સમેટાઈ ગઈ છે. બુધવારે પેટ્રોલ પંપના ડીલરોના એસોસિશેએશને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમની માગને પૂરી કરવા આશ્વાસન આપ્યું છે. ત્યાર બાદ પેટ્રોલ પંપ ડીલરોએ તેની આગામી હડતાળ રદ્દ કરી દીધી છે. જેના કારણે દેશભરમાં 13 ઓક્ટબરે પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે.
યૂનાઈટેડ પેટ્રોલિયમ ફ્રંટે વધુ ફાયદા અને વિવિધ માગો અને પેટ્રોલિયમ પદાર્થોને પણ જીએસટીમાં સામેલ કરવાને લઈને હડતાળની ચેતવણી આપી હતી. યૂપીએફ 54 હજાર ડીલરોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ટ્રેડર્સ, ધ ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસીએશન અને કંસોર્ટિયમ ઓફ ઈન્ડિયન પેટ્રોલિયમ ડીલર જેવા મોટા સંગઠનો સામેલ છે.