આજે RBIની ક્રેડિટ પોલિસીની જાહેરાત થશે, વ્યાજના દર 0.25% ઘટાડે તેવી શક્યતા
નવી દિલ્હીઃ નોટબંધીને કારણે બજારમાં નરમાઈના માહોલ વચ્ચે થોડી રાહત આપવા માટે રિઝર્વ બેન્ક બુધવારે વ્યાજના દરોમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરે તેવી શક્યતા છે. છ સભ્યની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બે દિવસની બેઠકનો પ્રારંભ મંગળવારે થયો હતો. ડિમોનેટાઇઝેશનને કારણે સાવચેતીનો માહોલ રહ્યો છે ત્યારે માગને વધારવા માટે રિઝર્વ બેન્ક તરફથી કેવા પગલાં લેવામાં આવે છે તેની પર નજર રહી હતી. નોટ બંધીથી ઇકોનોમીને કેટલો સમય અને કેવી અસર થશે એ અંગે રિઝર્વ બેન્ક તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવે છે તે મહત્ત્વનું બનશે એમ ઇન્ડસ્ટ્રીઝનું કહેવું હતું.
બંધન બેન્કના એમડ ચંદ્ર શેખર ઘોષના કહેવા અનુસાર ઓકટોબરની સરખામણીએ ફુગાવો ઘટ્યો હોવાથી વ્યાજદરમાં ચોક્કસ ઘટાડો થશે અને ૦.૨૫ ટકા ઘટવાનો અંદાજ છે. ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો ૪.૨૦ ટકા અને હોલસેલ ફુગાવો ૩.૩૯ ટકાના સ્તરે રહ્યો હતો. નવેમ્બરમાં પણ ફુગાવો નીચે રહેવાની અપેક્ષા છે અને તેને કારણે ૦.૫૦ ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા પણ જોવાઈ રહી છે. હાલ અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી અટકળોને કારણે તેની અનિશ્ચિતતા પ્રવર્તે છે એમ વધુમાં ઘોષનું કહેવું હતું. રેપો રેટ ૬.૦૦ ટકાના સ્તરે રહેવાની સર્વ સામાન્ય ધારણા છે.
રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે ઉર્જીત પટેલે ચાર્જ સંભાળ્યો ત્યાર પછી એમપીસીની રચના કરવામાં આવી હતી અને ઓકટોબર પછી બીજી બેઠક મળી રહી છે. ઓકટોબરમાં રેપો રેટ એટલે કે શોર્ટ ટર્મ લેન્ડિંગ રેટ ૦.૨૫ ટકા ઘટાડીને ૬.૨૫ ટકા કરવામાં આવ્યા હતા. આરબીઆઈએ જાન્યુઆરી ૨૦૧૫થી પોલિસી રેટમાં ૧.૭૫ ટકાનો ઘટાડો કર્યો છે. આ વખતની એમપીસીની બેઠક અગત્યની ગણવામાં આવે છે કેમકે ડિમોનેટાઇઝેશનનો લેવામાં આવેલા નિર્ણય પછી પ્રથમ બેઠક છે. સરકારના નોટ બંધના પગલાંને કારણે બેન્કો પાસે મોટી સંખ્યામાં ડિપોઝીટના નાણાં જમા થતાં રિઝર્વ બેન્ક ધારણા કરતાં વધુ વ્યાજદરમાં ઘટાડો કરીને બેન્કો પરનો બોજો ઘટાડવાનું પગલું ભરી શકે તેવી સંભાવના બેન્કિંગ ઉદ્યોગમાં મૂકવામાં આવે છે.