Jio Phoneની 1500 રૂપિયાની સિક્યોરિટી પરત મેળવવા માટે કરવો પડશે આટલો ખર્ચ, કંપનીએ રાખી નવી શરતો
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓના 4જી ફીચર ફોનની ડિલિવરી શરૂ થઈ ગઈ છે. કંપનીએ 15 દિવસમાં ફોનની ડિલિવરી કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. પહેલા ફોનને રૂરલ અને અર્બન વિસ્તારમાં ડિલીવર કરવામાં આવશે ત્યાર બાદ મેટ્રો સિટીમાં તેની ડિલીવરી શરૂ થશે. જો તમે પણ રિલાયન્સ જિઓનો 4જી ફીચર ફોન લીધો છો અને તમે એવું વિચારો છો કે 3 વર્ષ બાદ 1500 રૂપિયા કંપની પરત કરી દેશો તો તેના માટે શરત રાખવામાં આવી છે કે યૂઝરે દર વર્ષે ઓછામાં ઓછું 1500 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે.
જિયો ફોનના લોન્ચ સમયે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે 3 વર્ષ પછી ફોન પાછો આપવા પર ગ્રાહકને 1500 રુપિયા પાછા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ફોનની કિંમત 1500 રુપિયા છે. તે સમયે આ વાતનો ખુલાસો નહોતો કરવામાં આવ્યો કે જિયો ફોન ખરીદનારા ગ્રાહકોએ 3 વર્ષ સુધી દર વર્ષે 1500 રુપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. કંપનીએ હવે આ વાતની જાણકારી આપી છે.
કંપનીએ ફોનની રિટર્ન પોલિસી વિષે પણ જાણકારી આપી છે. જો તમને લાગે કે આ ફોન તમારે નથી વાપરવો અને તમે પાછો આપવા માંગો છો. જો તમે પહેલા વર્ષમાં ફોન પાછો આપો છો તો 1500 રુપિયા સિવાય GST અને અન્ય ટેક્સ આપવા પડશે. જો બે વર્ષમાં પાછો આપો છો તો 1000 રુપિયા અને GST તેમજ અન્ય ટેક્સ આપવાના રહેશે. 3 વર્ષમાં ડિવાઈસ પાછી આપશો તો 500 રૂપિયા ચાર્જ, GST અને અન્ય ટેક્સ આપવાના રહેશે.
આટલું જ નહી, જે લોકો 1 વર્ષમાં ઓછામાં ઓછા 1500 રુપિયાનું રિચાર્જ નથી કરાવતા તો રિલાયન્સ જિયો પાસે હેન્ડસેટ પાછા લેવાનો અધિકાર સુરક્ષિત રહેશે. આ સિવાય, કંપનીનું કહેવું છે કે આવા ગ્રાહકોએ કંપનીને વધારાનો ચાર્જ પણ આપવો પડશે.
આમ આ ફોન પર યૂઝર્સને એક વર્ષમાં 1500 રૂપિયાનું રિચાર્જ કરાવવું જ પડશે, એટલે દર મહિને 125 રૂપિયાનું મિનિમમ રિચાર્જ કરાવવું પડશે નહીં તો કંપની યૂઝર્સ પાસેથી ફોન પાછો લઇ શકે છે. આ ક્લૉઝમાં કંપની 2 મહિનાની છૂટ આપી રહી છે એટલે 10 મહિના તો રિચાર્જ કરાવવું જ પડશે.