SBIની વધુ એક દિવાળી ભેટ, હવે ખાતું બંધ કરાવવા પર નહીં લાગે કોઈ ચાર્જ
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મિનિમમ બેલેન્સની શરતોમાં રાહત આપ્યા બાદ હવે પોતાના ગ્રાહકોને વધુ એક રાહત આપી છે. એસબીઆઈ તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર 1લી ઓક્ટોબરથી ખાતું બંધ કરવા માટેના ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા નિયમ અનુસાર ખાતું ખોલાવ્યાના એક વર્ષ બાદ જો કોઈ ગ્રાહક ખાતું કરાવવા પર કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં ચૂકવવો પડે, ઉપરાંત કોઈ વ્યક્તિનાં મૃત્યુ બાદ જો તેનું ખાતાનું સેટલમેન્ટ કરવામાં આવે અને ખાતું બંધ કરવામાં આવે તો પણ કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. રેગ્યુલર સેવિંગ બેંક એકાઉન્ટ અને બેસિક સેવિંગ બેંક ડિપોઝિટ એકાઉન્ટ બંધ કરાવવા પર પણ કોઈ ચાર્જ નહીં લાગે. અત્યાર સુધી આ પ્રકારના ખાતા બંધ કરવા અથવા સેટલ કરવા પર 500 રૂપિયા ચાર્જની સાથે જીએસટી લાગતો હતો.
SBI તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર જો કોઈ ખાતાધારક ખાતું ખોલાવ્યાના 14 દિવસની અંદર તેને બંધ કરાવે છે તો તેના પર પણ કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં લાગે. પરંતુ ખાતું ખોલાવ્યાના 14 દિવસ બાદથી લઈને એક વર્ષની અંદર ખાતું બંધ કરાવવા પર 500 રૂપિયા (જીએસટી અલગથી) આપવા પડશે.
આ પહેલા સોમવારે એસબીઆઈએ મેટ્રો શહેરમાં બચત ખાતામાં મિનિમમ માસિક બેલેન્સની લિમિટ 5000 રૂપિયાથી ઘટાડીને 3000 રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. સાથે જ પેન્શનર્સના ખાતા, સરકારી યોજનાઓનો લાભલેવા માટે ખોલવામાં આવેલ ખાતા અને સગીર વયના ગ્રાહકોના ખાતામાં પણ મિનિમમ બેલન્સ રાખવામાંથી છૂટ આપવામાં આવી હતી.