SBI, PNB સહિત 4 બેન્કોએ ગ્રાહકોને આપ્યો મોટો ઝાટકો, મોંઘી કરી લોન્સ

જે લોકોએ બેઝ રેટ પર લોન લીધી છે તેમના પર કોઇ અસર નહિ થાય. એટલે કે તેમની લોનની ઇએમઆઇ પર કોઇ અસર નહિ પડે. તેનું કારણ એ છે કે એસબીઆઇ અને પીએનબીએ માત્ર MCLR રેટ વધાર્યો છે. બેઝ રેટ પર કોઇ ફેરફાર કર્યો નથી.
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હોળીના અવસર પર એક બાજુ બુધવારે એફડી ર વ્યાજ દરમાં વધારો કરીને લોકોને ખુશખબર આપ્યા તો બીજી બાજુ એમસીએલઆરમાં વધારો કરીને લોન ધારકોને મોટો ઝાટકો આપ્યો છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) ઉપરાંત બીજી સૌથી મોટી બેન્ક પીએનબી અને બે ખાનગી બેન્કો સહિત 4 બેન્કોએ MCLR રેટ વધારીને ગ્રાહકોને મોટો ઝાટકો આપ્યો છે. હોમલોન લેવાનું વિચારી રહ્યા હો તો હવે તમારે વધારે રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે.
ગુરુવારે સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ તત્કાળ અસરથી વિવિધ પાકતી મુદતો પરની માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ (MCLR) એટલે કે ધિરાણ દર વધારી દીધો છે. થૉમસન રૉયટર્સના ડેટા મુજબ એપ્રિલ 2016માં શરૂ કરાયેલી નવી લેન્ડિંગ રેટ સિસ્ટમ બાદ MCLRમાં આ પહેલો દર વધારો કરાયો છે.
જે પણ નવા ગ્રાહકો આ બેન્કોમાંથી લોન લેશે તેમને આજથી ધિરાણ મોંઘુ થઇ જશે. આ ઉપરાંત જે ગ્રાહકોની લોન ફ્લોટિંગ રેટ પર છે તેમની ઇએમઆઇ વધી જશે. જોકે જેમણે એક વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષની ફિક્સ્ડ MCLR રેટ પર લોન લીધેલી છે તેમની ઇએમઆઇ હાલ નહિ વધે. તેમના લોન પીરિયડના આધાર પર ઇએમઆઇ પછીથી વધી જશે.