SBIએ બચત ખાતાધારકોને આપ્યો મોટો ઝાટકો, વ્યાજ દરમાં કર્યો ઘટાડો
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બચત ખાતાધારકોને મોટો ઝાટકો આપ્યો છે. બેંકે બચત ખાતા પરના વ્યાજ દરમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. નવા વ્યાજ દર 31 જુલાઈ એટલે કે આજથી લાગુ થઈ જશે. હવે બચત ખાતા પર એક કરોડ રૂપિયા સુધીની રકમ પર 3.5 ટકા જ વ્યાજ મળશે જે પહેલા 4 ટકા હતું. તેનાથી બચત ખાતામાં નાની નાની રકમ જમા કરાવનાર લોકોને ફટકો પડશે.
બેંકે એક કરોડથી વધારેની રકમ બચત ખાતામાં હશે તો તેના પર પહેલાની જેમ જ વાર્ષિક 4 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે. જોકે એક કરોડથી વધારે રકમ રાખનારા લોકોની સંખ્યા ઓછી હોય છે. એવામાં મોટી જનસંખ્યાને 4 ટકાના વ્યાજ દરનો લાભ હવે નહીં મળે.
ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે એસબીઆઈએ આ પહેલા રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) અને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જીસમાં 75 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો.
આ પહેલા પણ એસબીઆઈએ એકથી બે વર્ષની ડિપોઝિટના રેટ્સમાં 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. હવે એક વર્ષની ડિપોઝિટ પર તમને 6.75 ટકાના દરે વ્યાજ મળશે જે પહેલા 6.9 ટકા હતું.