SBIએ આપી નવા વર્ષની ભેટ, વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો કેટલો થશે ફાયદો
નવી દિલ્હીઃ નવા વર્ષના અવસર પર દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એટલે કે એસબીઆઈએ પોતાના ગ્રાહતોને મોટી ભેટ આપી છે. એસબીઆઈએ ગ્રાહકોને રાહત આપત બેસ રેટ આધારિત વ્યાજ દરમાં 0.3 ટકાનો ઘટાડો કર્યો છે. આ નવા દર 1 જાન્યુઆરી 2018થી લાગુ થઈ ગયા છે. એસબીઆઈએ હાલના ગ્રાહકો માટે બેસ રેટ આધારિત વ્યાજ દર 8.95 ટકાથી ઘટાડીને 8.65 ટકા કર્યા છે.
એટલું જ નહીં, બેંકે બેન્ચમાર્ક પ્રાઈમ લેન્ડિંગ રેટ એટલે કે બીપીએલઆર આધારિત લોનના વ્યાજ રમાં પણ ઘટાડો કર્યો છે. બેંકે બેન્ચમાર્ક પ્રાઈમ લેન્ડિંગ રેટ એટલે કે બીપીએલઆર 13.70 ટકાથી ઘટાડીને 13.40 ટકા કર્યા છે. એસબીઆઈના આ નિર્ણયથી અંદાજે 80 લાખ ગ્રાહકોને ફાયદો થશે.
આ પહેલાં 28 ડિસેમ્બરે એસબીઆઈએ બેસ રેટ પાંચ બેસિસ પોઇન્ટ્સ વધાર્યો હતો, જ્યારે એ જ વખતે આંધ્ર બેંક અને બેંક ઓફ બરોડાએ તેના દરો ઘટાડ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક ડેટા મુજબ, ઓક્ટોબર 2016 (નોટબંધીના એક મહિના પહેલાં) બેંકોએ બેસ રેટ એવરેજ 0.61 ઓછા થયા હતા, જ્યારે પોલિસી રેટમાં 1.75 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
બેસ રેટ એક લઘુતમ દર છે, જેની પર બેંક ગ્રાહકોને લોન આપી શકે છે. રિઝર્વ બેંક એ દેખરેખ રાખે છે કે, કોઈ પણ બેસ રેટથી ઓછા પર કોઈ કસ્ટમરને લોન ન આપવામાં આવે.
વ્યાજ દર નક્કી કરવા અંગે રિઝર્વ બેંકે 1 એપ્રિલ, 2016થી MCLRની શરૂઆત કરી હતી. આ પહેલાં વ્યાજદર બેસ રેટ દ્વારા નક્કી કરવામાં આવતા હતા. માર્જિનલ કૉસ્ટ બેસ્ડ લેન્ડિંગ રેટ અંતર્ગત બેંક વ્યાજ દર નક્કી કરી શકે છે, આ દર લોન ચૂકવવા માટે કેટલાં વર્ષ બાકી છે તેની પર નિર્ભર કરશે.