સર્વિસ ચાર્જને લઈને સરકારે જારી કરી નવી ગાઈડલાઈન, હવે ગ્રાહક નક્કી કરશે સર્વિસ ચાર્જ કેટલો ચૂકવવો
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે પાસવાને કહ્યું હતું કે સર્વિસ ચાર્જ અંગે એક એડવાઈઝરી તૈયાર કરવામાં આવી છે, જે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ને મંજૂરી માટે મોકલી દેવામાં આવી છે. આ સપ્તાહમાં આ મંજૂરી આવી જતા માર્ગદર્શિકા તૈયાર જાહેર કરી દેવામાં આવી હતી. હવે દરેક રાજ્યને આ માર્ગદર્શિકા મોકલી દેવાશે અને તેનો ચુસ્ત અમલ કરવાનું કહેવાશે. પાસવાને કહ્યું હતું કે સર્વિસ ચાર્જ ખોટી રીતે જ લેવાય છે.
નવી દિલ્હીઃ હોટલ અને રેસ્ટોરાંના બિલમાં જોડવામાં આવતો સર્વિસ ચાર્જ સંપૂર્ણ રીતે સ્વૈચ્છિક, ફરજિયાત નહીં. ખાદ્ય અને ઉપભોક્તા મામલના મંત્રી રામ વિલાસ પાસવાને સરકાર દ્વારા સર્વિસ ચાર્જ પર નવી ગાઈડલાઈન્સને મંજૂરી આપ્યા બાદ શુક્રવારે આ વાત કહી.
સરકારે આ સાથે જ સર્વિસ ચાર્જ અંગેની માર્ગદર્શિકા બહાર પાડી છે, જે મુજબ સર્વિસ ચાર્જ અંગે હોટેલ અને રેસ્ટોરન્ટ્સ નિર્ણય નહીં કરે, પરંતુ ગ્રાહક તેની વિવેકશક્તિને આધારે જ તેનો નિર્ણય કરશે. તમામ રાજ્યોને આ ગાઈડલાઈન જરૂરી પગલાં માટે મોકલી દેવાશે.
પાસવાને કહ્યું હતું કે ગ્રાહકોએ કેટલો સર્વિસ ચાર્જ ચૂકવવો તેનો નિર્ણય હોટેલ કે રેસ્ટોરન્ટ્સે નથી કરવાનો. સરકારે શુક્રવારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ બિલમાં સર્વિસ ચાર્જની કોલમ ખાલી રાખવામાં આવશે જે ગ્રાહક અંતિમ ચૂકવણી વખતે પોતાની રીતે ભરશે.
જો કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટ્સ માલિક ફરજિયાતપણે સર્વિસ ચાર્જ વસૂલશે તો ગ્રાહક આ અંગે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી શકશે. મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે આ નિયમનો ભંગ કરનારાને હાલમાં આકરો દંડ કરી શકાય તેમ નથી, કારણ કે મંત્રાલયને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આ અંગે હાલ સત્તા નથી.