નાના વેપારીઓને ઝટકો, 20 લાખથી ઓછું ટર્નઓવર હશે તો પણ GST રજિસ્ટ્રેશન જરૂરી
નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીના રજિસ્ટ્રેશનમાંથી છૂટ મેળવનારા નાના વેપારીઓને માટે આ સમાચાર એક મોટો ઝટકો આપી શકે છે. હવે 20 લાખ રૂપિયાથી ઓછું વાર્ષિક ટર્નોવર હશે તેવા વેપારીઓએ પણ જીએસટીનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ખુદ કેન્દ્રીય રેવન્યૂ સચિવ હસમુખ અઢિયાએ આ જાણકારી આપી છે.
રેવન્યૂ સચિવ અનુસાર જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર 20 લાખ રૂપિયાથી ઓછું છે અને તે અન્ય રાજ્ય અથવા રાજ્યોમાં પોતાનો કારોબાર કરવા માગે છે તો તેણે જીએસટી અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અત્યાર સુધી એવી જાણકારી હતી કે 20 લાખ રૂપિયાથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા કારોબારીઓએ જીએસટી અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.
પરંતુ રેવન્યૂ સચિવના નિવેદન બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે, માત્ર એવા જ નાના વેપારીઓને છૂટ મળશે જે પોતાનો કારોબાર માત્ર પોતાના રાજ્યમાં જ કરવા માગે છે.