Airtelએ ગ્રાહકોને જણાવ્યા વગર ખોલ્યા પેમેન્ટ બેંક ખાતા! આધાર એક્ટના ઉલ્લંઘનમાં UIDAIએ શરૂ કરી તપાસ
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ પર આરોપ છે કે તેણે પોતાના યૂઝર્સને જાણ કર્યા વગર તેના પેમેન્ટ બેંક ખાતા ખોલ્યા છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર એરટેલ પર આરોપ છે કે તેણે આ પ્રાકરનું કામ કરતાં આધાર એક્ટનું ઉલ્લંઘન કર્યું છે અને આધારનું સંચાલન કરતી સંસ્થા UIDAI એ આ મામલે એરટેલ વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે. જો આરોપ સાબિત થશે તો એરટેલ પર દંડ લાગી શકે છે.
અહેવાલ અનુસાર આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે કેટલાક એરટેલ યૂઝર્ઝની એલપીજી સબસિડી એરટેલ દ્વારા ખોલવામાં આવેલ પેમેન્ટ બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ, ગ્રાહકોની ગેસ સબસિડી જ્યારે તેના દ્વારા લિંક કરવામાં આવેલ સામાન્ય બેંક ખાતમાં જમા નથઈ તો તેણે તેની ફરિયાદ કરી, ફરિયાદ બાદ જાણવા મળઅયું કે, ગેસ સબસિડી પેમેન્ટ બેંક ખાતામાં જમા થઈ છે. જેની આગળ તપાસ કરતાં ખબર પડી કે ગ્રાહકોને પોતાના પેમેન્ટ બેંક ખાતા વિશે કોઈ જાણકારી નથી.
એરટેલ પર આરોપ છે કે, તેણે મોબાઈલ નંબરને આધાર સાથે જોડવા માટે યૂઝર્સ પાસે આધાર નંબર માગ્યા અને તેની મંજૂરી વગર જ તેને પેમેન્ટ બેંક ખાતા ખોલી નાંખ્યા. અહેવાલ અનુસાર ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ અંતર્ગત અત્યાર સુધી બેંક ખાતામાં અંદાજે 40 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે.
અહેવાલ અનુસાર UIDAIના સીઈઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું કે, તેને આ પ્રકારની ફરિયાદની જાણકારી મળી છે અને આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, તપાસ થવા પર જો આ મામલે પુષ્ટિ થશે તો આ ખૂબ જ સંવેદનશીલ કેસ હશે. અહેવાલ અનુસાર એરટેલે તેના પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે, કંપનીએ તમામ પેમેન્ટ બેંક ગ્રાહકોની મંજૂરી બાદ જ ખોલ્યા છે. એરટેલે એ પણ કહ્યું કે, એલપીજી સબસિડી માટે ગ્રાહકો પાસેથી અલગથી મંજૂરી લેવામાં આવી છે.