મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 40 વર્ષીય પુરુષની હત્યા થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ હતી. હત્યા કરી લાશ કુડોલ ઘોટા પ્રાથમિક શાળામાં ફેંકી દેવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે માત્ર 14 કલાકમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.


આ અંગેની વિગતો એવી છે કે, કુડોલઘાટામાં રતાભાઈ તરાર(ઉં.વ.40)ના આદિવાસી મિત્રો વારંવાર તેમના મોટાભાઈની દીકરીની ઠઠ્ઠા-મશ્કરી કરતા હોવા છતાં રતભાઈ તેમના મિત્રોને કંઇ કહેતા ન હોવાથી મોટાભાઈ અને તેમના પરિવારજનો રોષે ભરાયા હતા. ગુરુવારે રાતે ગામની પ્રાથમિક શાળામાં આ મુદ્દે જ રાતભાઈ સાથે બબાલ થઈ હતી. ઉશ્કેરાયેલા સગીરવયના ભત્રીજાએ માથામાં લાકડી મારતાં રતાભાઈ ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેમનું ત્યાં જ મોત નીપજ્યું હતું.

હત્યા પછી રતાભાઈના મોટા ભાઈ અને તેમના બે સગીર પુત્રો ત્યાંથી ભાગી ગયા હતા. વહેલી સવારે હત્યાના સમાચાર વાયુવેગે આખા ગામમાં ફેલાઇ ગયા હતા. બીી તરફ ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે અલગ અલગ ટીમો બનાવી માત્ર 14 કલાકમાં જ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.