CRIME NEWS: અમદાવાદ નારોલમાં પતિએ પત્નીની હત્યા કરી છે. નારોલની આકૃતિ ટાઉનશિપમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફરાર થઈ ગયો હતો. આરોપી પતિએ પત્નીની ગળું દબાવીને હત્યા કરી છે. જો કે પોલીસે સતર્ક દાખવી ગણતરીમા કલાકોમાં જ હત્યારા પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફરાર આરોપીને દાહોદથી પકડી પાડ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.


આણંદમાં યુવકની હત્યા


આણંદ જિલ્લાના બેડવા ગામે યુવકની હત્યા કરવામાં આવી છે. સવારના સુમારે યુવકનો મૃતદેહ બેડવા નહેરમાંથી મળી આવ્યો હતો. યુવકની માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું તાપસ દરમિયાન સામે આવ્યું હતું. મૃતક યુવક બેડવા ગામનો જયદીપ હોવાનું તપાસમાં ખુલ્યું છે. મૃતક જયદીપ  આઉટ સોરસિંગના માધ્યમથી પોલીસ ખાતાના એમટી વિભાગમાં ફરજ બજાવતો હતો.


યુવકની હત્યા સાથી કર્મીએ જ કરી હોવાનું સામે આવ્યું છે. ખંભોળજ પોલીસે હત્યારા હરપાલસિંહ ચાવડાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. હરપાલસિંહ આણંદ પોલિસના એમટી શાખામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. પોલીસે ટુંકા સમયમાં જ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, હથોડાની ચોરી હત્યાનું કારણ બન્યું છે. જયદીપ દ્વારા એમટીમાં વપરાતો હથોડો ચોરી કરતા હરપાલસિંહ સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. પોલીસ વિભાગનો કર્મચારી જ હત્યારો નીકળતા ચકચાર મચી છે. પોલીસે હત્યારા પોલીસ કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


હત્યાની આશંકા વ્યક્ત કરાતા યુવકની દફનાવાયેલી લાશ બે મહિના બાદ બહાર કઢાઇ


બનાસકાંઠાના પાલનપુરના માલણ ગામે બે મહિના પહેલા અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકની માતાએ પોતાના પુત્રની હત્યા થઈ હોવાના આક્ષેપ કરતા પોલીસે યુવકની લાશને બહાર કાઢી એફએસએલ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.  મળતી જાણકારી અનુસાર, માલણ ગામનો યુવક ભરત પરમાર 14 ઓક્ટોબરે પોતાના મિત્રો સાથે જમવા જવાનું કહીને બહાર ગયો હતો. મોડી રાત્રે ભરતના પરિવારજનોને ફોન આવ્યો કે ભરતનું બાઈક સ્લીપ થતાં તેને ઇજા પહોંચી છે. પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે જતા ભરત ગંભીર હાલતમાં રોડની સાઈડમાં પડ્યો હતો. જો કે થોડી વારમાં ઘટનાસ્થળે જ ભરતનું મોત નીપજ્યું હતુ.


એ સમયે પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વગર જ તેની દફન વિધિ કરી નાંખી હતી. પણ ઘટનાના બે માસ બાદ ભરતની માતા અમરીબેનને શંકા ગઈ કે તેનાં પુત્રનો અકસ્માત થયો ન હતો. ભરતની હત્યા કરીને તેની લાશને ફેંકી દેવાઈ હોઈ શકે છે.  આ અંગે પાલનપુર તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. તાલુકા પોલીસ મામલતદારની હાજરીમાં માલણ  ગામના સ્મશાને પહોંચી હતી. ભરતની દફનાવેલી લાશને બહાર કાઢી એફએસએલ માટે અમદાવાદ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. નોઁધનીય છે કે ઘટનાને દિવસે ભરત પોતાના મિત્રો દિપક, વિશાલ અને હિતેશ સાથે જમવા જવાનુ કહીને ગયો હતો. અને બાદમાં આ ઘટના બની હતી.