CRIME NEWS: શાપર વેરાવળની ફેકટરી માલિકના પુત્ર અદનાન તેલવાલાનુ અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. અદનાનનું અપહરણ કરી પૂર્વ આયોજિત કાવતરૂ ઘડી ફેક્ટરી માલિક પાસેથી 15 કરોડની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત જો રૂપિયા નહિ આપો તો પુત્ર અદનાનને જાનથી મારી નાખવાની ધમકી અપહરણકારોએ આપી હતી. આ અપહરણ કાંડમાં 4 શખ્સો સામેલ હતા.


જો કે આ અપહરણકારોના બદઈરાદા ફાવ્યા નહોતા. અપહરની ઘટના બાદ ફેક્ટરી માલિકે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે અદનાનને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેવા અપહરણકારો અમરેલી જિલ્લામાં પ્રવેશ્યા ત્યાં જ SP હિમકર સિંહની ટીમે આરોપીઓને ઝડપી અદનાનને છોડાવી લીધો હતો. આ ઓપરેશનને પાર પાડવામાં અમરેલી SPની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ, રાજુલા પોલીસે મહત્વની ભૂમિકા ભજવી હતી. સાવરકુંડલા રાજુલા હાઇવે ઉપરથી તમામ લોકોને ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ અપહરણ કરતા ઇસમોને રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યા હતા.


અબડાસાના વિઝાણ ગામે 22 વર્ષીય યુવકની હત્યા


કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં હત્યાની ઘટના ઘટી છે. અબડાસા તાલુકાના વિઝાણ ગામે મુસ્લિમ લુહાર યુવાનની હત્યા થઇ છે. વિઝાણ ગામના 22 વર્ષિય મુસ્લિમ યુવાનની હત્યાથી પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો છે. કોણે હત્યા કરી અને કયા કારણોસર તેની આગળની તપાસ કોઠારા પોલીસે હાથ ધરી છે. 


વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં 23 વર્ષીય શ્રમિક યુવાનની હત્યા
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં 23 વર્ષીય શ્રમિક યુવાનની હત્યાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ 23 વર્ષીય નિતેશ રાજપૂત નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થઇ ગયા છે. હત્યારાઓએ મૃતક યુવાન પર હથિયારના ઘા ઝીંકતા 23 વર્ષીય નિતેશ રાજપૂત ઢળી પડ્યો હતો. નિતેશને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જો કે હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેણે રસ્તામાં દમ તોડી દીધો હતો.  મળતી માહિતી મુજબ મૃતક નિતેશ રાજપૂત સોમા તળાવ નજીક વિજયનગરમાં રહેતો હતો અને મજૂરીકામ કરતો હતો. હત્યાનું કારણ જાણવા મળેલ નથી. હત્યારાઓને ઝડપી પાડવા વાડી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.