અમરોહાઃ ઉત્તરપ્રદેશના અમરોહા જિલ્લાના બાનખેડી ગામમાં 14-15 એપ્રિલ, 2008 ના રોજ રાત્રે પ્રેમી સાથે મળીને પ્રેમિકાએ તેમના કુટુંબના સાત સભ્યોની હત્યા કરી હતી. પરિવારને જ મોતને ઘાટ ઉતારનારી શબનમ અને તેના પ્રેમીને ફાંસી આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટેના ફેંસલા બાદ રાષ્ટ્રપતિએ પણ શબનમ અને સલીમની દયા અરજી ફગાવી દીધી છે. આઝાદી બાદ ભારતમાં પ્રથમ વખત કોઈ મહિલા કેદીને ફાંસીએ લટકાવવામાં આવશે.


પ્રેમ સંબંધમાં આપ્યો ઘટનાને અંજામ

શબનમના કાકા અને કાકી શબનમ અને તેના પ્રેમીને ભરબજારે ફાંસીએ લટકવાની માંગ કરી રહ્યા છે. આ મામલો 14-15 એપ્રિલ 2008 નો છે. શકત અલીની પુત્રી શબનમે તેના પ્રેમી સલીમ સાથેના પ્રેમ સંબંધને કારણે કુટુંબીઓના સાત સભ્યોની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. ઘટનાનો ખુલાસો થયા બાદ પોલીસે શબનમ અને તેના પ્રેમી સલીમે જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

સગી કાકીએ કહ્યું-ભરબજારે લટકાવી દેવી જોઈએ

કેસની સુનાવણી દરમિયાન બંનેને અમરોહાની જિલ્લા અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી. જેને હાઇકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી. તે દેશના રાષ્ટ્રપતિએ શબનમ અને સલીમની દયા અરજીને પણ ફગાવી દીધી છે. આ ફેંસલાથી ગામના લોકોમાં ખુશીનો માહોલ છે. શબનમની કાકીનું કહેવું છે કે આવું કૃત્ય કરતાં પહેલા લોકો બે વખત વિચારે તે માટે તેમને ભરબજારે ફાંસીએ લટકાવી દેવા જોઈએ.

શબનમના કાકા સત્તાર અલીનું કહેવું છે કે, તેણે કરેલા કર્મોની સજા મળી રહી છે. તેણે સાત લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા તો હવે તે પણ જીવતી ન રહેવી જોઈએ. શબનમ અને સલીમની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા ફગાવવામાં આવ્યા બાદ ગામના લોકો પણ ખુશ છે.