અમદાવાદઃ શહેરના ઘાટલોડિયામાં ડોક્ટરની પત્નીએ કરેલા આપઘાત પ્રકરણમાં નવો ધડાકો થયો છે. પોલીસને તપાસ દરમિયાન મૃતક મહિલાની 10 પાનાની સૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેણે પતિ નશીલી દવાના ઇન્જેક્શન આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં, નણંદ પણ ત્રાસ આપતી હોવાનો ધડાકો કર્યો છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગત મંગળવારે રાતે ઘાટલોડિયામાં આવેલી દેવકુટીર સોસાયટીમાં રહેતા અને સત્તાધાર સર્વોપરી મોલમાં દેવમ ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવનારા હિતેન્દ્ર ઉર્ફે હિતેશ પટેલનાં પત્ની હર્ષાબહેને બંગલા સામે જ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આપઘાત સમયે તેમણે તેમના સૂસાઇડ નોટ પર પણ પતિની હરકતો વિષે ધડાકો કર્યો હતો તેમજ લખ્યું હતું કે, ડોક્ટર પતિએ સેક્સ માટે લગ્નનુ નાટક કર્યુ. ઇચ્છા પૂરી થતા મને કાઢી મૂકી. મારા મરવાનું કારણ પોતાનો પતિ જ હોવાનું સૂસાઇડ નોટમાં લખ્યું છે.

હવે ઓર્થોપેડિક સર્જન હિતેન્દ્ર પટેલનાં પત્ની હર્ષાબેને કરેલી આત્મહત્યાની ઘટનામાં નવો જ વળાંક આવ્યો છે. હર્ષાબેન પાસેથી નોટબુકનાં 10 પાનાં ભરીને લખેલી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે હિતેન્દ્ર તેને નશીલી દવા ભરેલા ઈન્જેક્શન મારતો હતો અને ત્યાર બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. જ્યારે તેની નણંદ દીપુ પટેલ પણ હિતેન્દ્ર અને તેનાં માતા - પિતાને હર્ષાબહેન વિરુદ્ધ ચઢમણી કરતાં હતાં.

ઘાટલોડિયા પોલીસે આ અંગે દુષ્પ્રેરણા, ઘરેલુ હિંસાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને નશીલા પદાર્થવાળા ઈન્જેકશન મારવાની 2 કલમ ઉમેરી છે. હર્ષાબેને આત્મહત્યા કરી એ રાતથી જ પતિ હિતેન્દ્ર પટેલ માતા - પિતાને લઇને ફરાર થઇ ગયા છે. પોલીસે તેમના ઘરે અને હોસ્પિટલે તપાસ કરી છે, પરંતુ તેમનો કોઇ પત્તો લાગ્યો નથી. એટલું જ નહીં, હિતેન્દ્રનાં બહેન દીપુબેનનો પણ કોઇ પત્તો નહીં લાગતાં પોલીસે અન્ય સંભવિત સ્થળે તપાસ શરૂ કરી છે. હર્ષાબહેન પાસેથી એક નાની ચીઠ્ઠી પણ મળી હતી, જેમાં તેમણે પતિ, સાસુ , સસરા અને નણંદના ફોન નંબર લખ્યા હતા. જોકે નંબરના આધારે તેમનો સંપર્ક કરવામાં તેમજ લોકેશન મેળવવામાં પોલીસને સરળતા રહે.
આ અંગે મળતી વિગતો એવી છે કે, ઘાટલોડિયામાં રહેતા અને ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા ડોક્ટર સાથે ગત ઓગસ્ટ મહિનામાં મેરેજ બ્યુરો થકી યુવતીના લગ્ન થયા હતા. યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે કે, લગ્ન પછી તેની સાસરીવાળા દહેજને લઈને તેમની દીકરીને પરેશાન કરતા હતા. તેમજ પતિ પણ માતા-પિતાનો પક્ષ લઈ મારઝૂડ કરતો હતો. આથી દીકરીએ કંટાળીને આપઘાત કર્યો છે.

પિતાની ફરિયાદ છે કે, સાસુ-સસરા નાની નાની બાબતે દીકરીને પરેશાન કરતા હોવાથી ગત 4 ફેબ્રુઆરીએ તે પતિને મળવા હોસ્પિટલ ગઈ હતી. જોકે, પતિએ તેની સાથે મારઝૂડ કરીને હોસ્પિટલમાંથી કાઢી મૂકી હતી. આ પછી તેમની દીકરી માનસિક તણાવમાં રહેતી હતી. તેમજ કોઈની સાથે વાત પણ કરતી નહોતી. થોડા દિવસ પહેલા દીકરીએ તેના પતિનો જન્મ દિવસ ધાબા પર ઉજવ્યો હતો. જેથી સાસુ-સસરા નારાજ થયા હતા.

અવારનવાર શારીરિક સબંધ બાંધ્યા બાદ મહિલાને કાઢી મુકી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ઘાટલોડિયા પોલીસ મથકે ડોક્ટર હિતેન્દ્ર અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. યુવતીના પિતાએ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.