ગાંધીનગરઃ ગુજરાતમાં છ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલુ થઈ ગયો છે. આ ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી તેમાં ભાજપના 20 દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરાયો છે.


ગુજરાતમાં 2020ના અંતમાં યોજાયેલી 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી વખતે ભાજપે જાહેર કરેલા 30 સ્ટાર પ્રચારકો પૈકી લગભગ અડધોઅડધ એટલે કે 14 નેતાઓનાં નામ આ સ્ટાર પ્રચારકોની યાદીમાં નથી. સી. આર. પાટીલે સ્ટાર પ્રચારકોની યાદીમાંથી ભાજપના ઘણા દિગ્ગજ નેતાએઓની બાદબાકી કરી નાંખી છે. વિજય રૂપાણી સરકારના સીનિયર પ્રધાન અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુની બાદબાકી કરી દેવાઈ છે.

આ ઉપરાંત ભરતસિંહ પરમાર, ડો. ઋત્વિજ પટેલ, સૌરભભાઈ પટેલ, જવાહર ચાવડા, રમણભાઈ પાટકર, વિભાવરીબેન દવે, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મોહન કુંડારિયા, વિનોદ ચાવડા, ડો. કે.સી. પટેલ, રમણલાલ વોરા, દિલીપ સંઘાણી, હીરાભાઈ સોલંકીનાં પત્તાં પણ કાપી દેવાયાં છે.