ભાવનગરઃ ગુરુવારે શહેરમાં થયેલી બે અલગ અલગ હત્યાના બનાવમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. બંને મૃતક માતા-પુત્ર હોવાનું અને બંનેની હત્યા એક જ શખ્સે કરી હોવાનું સામે આવ્યું છે. યુવતી સાથે સંબંધ ધરાવનાર આરોપીએ બુધવારે રાત્રે યુવતીને શરીરસુખ માણવા માટે બોલાવી હતી. અહીં ઝઘડો થતા આરોપીએ માતા અને તેના સગીર પુત્રની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.


આરોપી હેમલ શાહે જ અંકિતા જોશીને બુધવારે રાત્રિના શરીરસંબંધ બાંધવા માટે બોલાવી હતી. અંકિતા જોશી તેના સગીર પુત્રને લઈ હેમલ શાહના ફ્લેટ પર આવી હતી. ફ્લેટ માલિક હેમલ શાહની પુછપરછ કરતા તેમણે જ બંને હત્યાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.


હેમલે કબૂલાત કરતા જણાવ્યું હતું કે, એક વર્ષ પૂર્વે મોલમાં અંકિતા સાથે પરિચય થયો હતો અને મોબાઇલની આપ-લે બાદ મિત્રતા કેળવાઇ હતી. આ પછી બંને વચ્ચે અનૈતિક સંબંધો પણ સ્થાપિત થયા હતા. ગત તા.૭ જૂલાઇ રાત્રે ૯.૩૦ વાગ્યે અંકિતા તેના પુત્ર શિવમ (ઉ.વ.૧૨)ને લઇ ફ્લેટે આવી હતા. તેમજ શિવમ અન્ય રૂમમાં સુઇ ગયો હતો. 


દરમિયાન અંકિતા કોઈની સાથે ફોન પર વાત કરતી હતી, જે અંગે હેમલે પૂછતાં રકઝક થઇ હતી. આ સમયે અંકિતાએ સ્કુટર લેવા માટે ૧.૨૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે, હેમલે રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો. આથી અંકિતા રિસાઇ ગઈ હતી. આ પછી મામલો બિચકતા અને આબરુ જવાની બીકે હેમલે છરીના ઘા મારી અંકિતાની હત્યા કરી નાંખી હતી. તેમજ આ પછી માસુમ શિવમને પણ રહેંસી નાંખ્યો હતો. 


આ પછી વહેલી સવારે ૪ કલાકે શિવમના મૃતદેહને ગોદડામાં લપેટી પોતાની આઇ-૨૦ દ્વારા સિદસર-વરતેજ રોડ પર લાશ ફેંકી પરત પોતાના ઘરે આવી ગયો હતો. જ્યારે અંકિતાની લાશ અન્ય જગ્યાએ ફેંકે તે પહેલા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. 


મૃતક અંકિતા જોશી તેના પતિ સાથે છુટાછેડા પછી અલગ રહેતી હતી. આરોપી હેમલ શાહના પણ છૂટાછેડા થયેલા છે અને એકલો રહેતો હતો. પોલીસે હેમલ શાહની અટકાયત કરી કોવિડ રિપોર્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે. ગઈ કાલે ભાવનગરમાં સગીર પછી 30 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.  


ભાવનગરમાં ગુરુવારે સવારે વરતેજ સીદસર રોડ પર  એક નાળા પાસે સગીરની હત્યા થયેલી લાશ મળી આવી હતી જયારે સાંજે તખ્તેશ્વર પાસેના ફલેટમાંથી યુવતીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. ભાવનગર પોલીસે સઘન તપાસ હાથ ધરી બંને હત્યા માતા-પુત્રની થઇ હોવાનું અને એક જ વ્યકિતએ કરી હોવાનું તેમજ બંનેની લાશની હેરાફેરી માટે એક જ કારનો ઉપયોગ કરાયો હોવાની થિયરી પર વધુ તપાસ હાથ ધરી હતી. 


સાંજે તખ્તેશ્વર પાસે જનકલ્યાણ હાઉસીંગ સોસાયટીના ફલેટના બીજા માળેથી અંકીતા પ્રકાશભાઇ જોષી (ઉ.વ.30) ની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરેલી હાલતમાં ગોદડામાં વીંટાળેલી લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બંને હત્યા સાથે કોઇ સબંધ છે કે કેમ તે દિશામાં તપાસ આગળ ધપાવી હતી.


મૂળ સિહોરની અને ભાવનગરમાં રહેતી અંકીતાએ છૂટાછેડા લીધેલા છે તેમજ છેલ્લા ઘણા સમયથી પોતાના પુત્રને લઇ આ ફલેટમાં રહેતી હતી. બંને વચ્ચે કોઇ બાબતે ઝઘડો થતા આ યુવકે બંનેની હત્યા કરી નાખી હતી અને બાળકની લાશને કારમાં નાખી સીદસર રોડ પરના આ અવાવરૂ જગ્યાએ છોડી દીધી હતી. જ્યારે તે જ કાર દિવસ દરમિયાન આ ફલેટ પાસે પણ જોવા મળી હતી, જેના પરથી પોલીસને આ બન્ને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.