First FIR in BNS: આજથી સમગ્ર ભારતમાં નવા કાયદા એટલે કે ભારતીય ન્યાય સંહિતા લાગુ થઇ ગઇ છે, અને તે અંતર્ગત દિલ્હીમાં પહેલી એફઆઇઆર પણ નોંધવામાં આવી છે. નવા કાયદા અનુસાર, ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ મધ્ય દિલ્હીના કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં સોમવારે (1 જુલાઈ) પ્રથમ FIR નોંધવામાં આવી છે. મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમે જોયું કે એક વ્યક્તિ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નજીક રસ્તાની વચ્ચે એક સ્ટ્રીટ વેન્ડર ગોઠવી રહ્યો છે. તેના પર તે પાણી અને ગુટખાનું વેચાણ કરી રહ્યો છે. જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ પછી પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ BNS હેઠળ FIR નોંધી લીધી.


પોલીસે ઘણી વખત સ્ટ્રીટ વેન્ડરને ત્યાંથી ખસી જવા કહ્યું, જેથી રસ્તો સાફ થઈ જાય અને લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. જો કે, તેણે પોલીસકર્મીઓની વાતને અવગણવાનું ચાલુ રાખ્યું અને તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેણે પોતાની મજબૂરી સમજાવી અને ત્યાંથી ચાલ્યો ગયો. આ પછી પોલીસે તેનું નામ અને સરનામું પૂછ્યું અને નવા કાયદા BNSની કલમ 285 હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી. આ કાયદા હેઠળ નોંધાયેલી આ પ્રથમ એફઆઈઆર છે.


ત્રણ નવા અપરાધિક કાયદાએ કયા જુના કાયદાઓની જગ્યા લીધી ?
વાસ્તવમાં, ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ 1 જુલાઈથી સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે. આ ત્રણ નવા ફોજદારી કાયદા તરીકે ઓળખાય છે. આ કાયદાઓએ ભારતીય દંડ સંહિતા (IPC), કૉડ ઓફ ક્રિમિનલ પ્રૉસિજર (CrPC) અને બ્રિટિશ યુગના ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન લીધું છે. ભારતીય દંડ સંહિતા 163 વર્ષ જૂનો કાયદો હતો, જેને હવે BNS દ્વારા બદલવામાં આવ્યો છે. છેતરપિંડીથી લઈને સંગઠિત અપરાધ સુધીના ગુનાઓ માટે BNSમાં કડક સજાની જોગવાઈ છે.


ભારતીય ન્યાય સંહિતામાં શું છે ખાસ ? 
ભારતીય ન્યાયિક સંહિતામાં 358 કલમો છે એટલે કે BNS, જ્યારે IPCમાં 511 કલમો હતી. જેમાં 21 નવા પ્રકારના ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 41 ગુનામાં જેલની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. 82 ગુનામાં દંડની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. BNSમાં આવા 25 ગુના છે, જેમાં લઘુત્તમ સજાની જોગવાઈ કરવામાં આવી છે. નવા કાયદામાં આવા 6 ગુના છે, જેના માટે સમાજ સેવાની સજા મળશે. તેમજ ગુનાની 19 કલમો હટાવી દેવામાં આવી છે.


જો કે, અત્રે નોંધનીય બાબત એ છે કે જે ગુનાઓમાં 1 જુલાઈ પહેલા કેસ નોંધાયા છે તેમાં માત્ર IPC, CrPC અને ભારતીય પુરાવા કાયદા હેઠળ જ કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં જ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરવાની જાહેરાત કરી હતી.