પાટણઃ પાટણમાં ક્રાઇમ થ્રિલર સ્ટોરીને ટક્કર આપે એવી ઘટના સામે આવે છે. અમદાવાદની ગુમ થયેલી યુવતીનો પોલીસે ત્રણ વર્ષ પછી ભેદ ઉકેલ્યો છે. જોકે, તમે આ હત્યાકાંડ વાંચીને સમસમી જશો. પ્રેમીએ સમીના દાદર ગામે ત્રણ વર્ષ પહેલા 22 એપ્રિલ, 2019ની રાત્રે અમદાવાદની એક યુવતી હત્યા કરી હતી. તેમજ તેની ઓળખ ન થાય માટે તેને બાળી નાંખી હતી. એટલું જ નહીં, યુવતીની હત્યાનો જેના પર આક્ષેપ છે તે યુવાને પણ યુવતીની હત્યાના અઢી મહિના 11 જુલાઈ, 2019ના રોજ પોતાનાં ખેતરમાં આત્મહત્યા કરી લીધી હતી.


આ અંગેની વિગતો એવી છે કે, હત્યારો શંકર વજાભાઈ ચૌધરી અમદાવાદની યુવતી હંસા દંતાણી(ઉં.વ.26)ને ફુલહારથી લગ્ન કરવા સમીના દાદરમાં લાવ્યો હતો. આરોપીએ હંસાની હત્યા કરીને ઓળખ ન થાય તે માટે લાશને બાળી નાખી હતી. આરોપીએ કયા કારણોસર યુવતીને મારી નાંખી, કોની સાથે મળીને અંજામ આપ્યો તે જાણી શકાયું નથી.


હંસા દંતાણી 19 એપ્રિલ 2019ના દિવસે માસીના ઘરે જવાનું કહીને સરદારનગર અમદાવાદથી ગુમ થઈ હતી. યુવતીની માતાએ અમદાવાદ એરપોર્ટ પોલીસ મથકે પોતાની દીકરી ગુમ થયાની અરજી આપી હતી. પોલીસે તપાસ કરતા યુવતીએ પોતાની મરજીથી સમીના દાદર ગામના શંકર વજા ચૌધરી સાથે ફુલહારથી લગ્ન કર્યાનું જાણવા મળ્યું હતું. જોકે, પોલીસ તપાસમાં ગુમ યુવતી ન મળી પણ પોલીસને યુવતીનું પર્સ અને કપડા મળી આવ્યા હતા. 


ગુમ યુવતી હંસા દંતાણીને તેના પતિએ 22 એપ્રિલ 2019ના રાત્રે હત્યા કરી લાશે ઓળખાય નહિ તેવી રીતે સળગાવી દીધી. તે જ રાત્રે પતિ પત્નીની હત્યા કરી પ્રેમિકા સાથે ભાગી ગયો હતો. શંકરની પ્રેમિકાએ તેના પ્રેમી સાથે ભાગતા પહેલા ઘરમાં ચિઠ્ઠી લખી હતી કે હું આત્મહત્યા કરું છું. બીજી તરફ સવારે બનાસ નદીના પટમાં હંસા દંતાણીની લાશેને પ્રેમી સાથે ભાગેલ યુવતીના પરિવારે પોતાની દીકરી લાશ સમજી અગ્નિ સંસ્કાર કરી દીધો હતો. 


દરમિયાન પ્રેમિકા સાથે ભાગેલ શંકર ભુજથી તેની પ્રેમિકા સંગીતા ઠાકોર સાથે મળી આવ્યો હતો. બન્નેને દાદર ગામમાં લાવી અગલ કર્યા હતા. પ્રેમિકાના બીજે લગ્ન કરતા શંકરે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં દાદર ગામમાં સંગીતા ઠાકોર સમજી તેના પરિવારે અગ્નિ સંસ્કાર કર્યા તે અમદાવાદની હંસા દંતાણીની લાશ હોવાનું સામે આવ્યું. 


સંગીતાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, શંકર તેની સાથે પ્રેમ કરવા માંગતો હતો, જો કે તેને બદનામીનાં કારણે લગ્ન કરવાની ના પાડતી હતી. શંકરે સંગીતા સાથે મરી જવાનો પ્લાન બનાવ્યો હોવાનું જણાવીને શંકરે સંગીતાને આપેલી એક ચિઠ્ઠીમાં "હું મરી જાઉં" લખાણ કરેલું હોવાનું જણાવ્યું હતું. જેથી રાત્રે 11 વાગે ચુપચાપ ચીઠ્ઠી ઓશિકા નીચે મુકીને ઘેરથી ચાલી સમીનાં માનપુર પાસે બાઇક લઇને ઉભેલા શંકરને મળી હતી. જ્યાં શંકરે સંગીતાને  આત્મહત્યા કરવાની નથી એમ જણાવ્યું હતું. તેમજ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.


જોકે, શંકરે કોઈ યુવતીની હત્યા કરી હોવાની માહિતી મળતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી બંને ભૂજ આવી ગયા હતા. પરંતુ તેમને પરિવારે પકડી પાડ્યા હતા. તેમજ બંનેને દાદર પરત લાવ્યા હતા. આ પછી સંગીના અન્ય જગ્યાએ લગ્ન કરાવી દીધા. પ્રેમિકાના અન્ય જગ્યાએ લગ્ન થઈ જતાં શંકરે આત્મહત્યા કરી લીધી હતી. 


11 જુલાઇ 2019માં આત્મહત્યા કરનાર અને હંસા દંતાણીની હત્યા કરનાર શંકર વજા ચૌધરી સામે ipc કલમ 302,201 મુજબ સમી પોલીસ મથકે ગુનો નોંધાયો છે. અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનના psi એસ. જી.કુણપરે ફરિયાદ નોંધાવી.