નવસારીઃ ગણદેવીમાં તાંત્રિકે બે સગી બહેનો સાથે વારંવાર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દેતા ચકચાર મચી ગઈ છે. ભોગ બનનારના પિતાએ આ અંગે ફરિયાદ કરતાં પોલીસે આરોપી સહિત ત્રણને જેલ ભેગા કરી દીધા છે. બળાત્કારનો ભોગ બનનારમાં એક સગીરા પણ છે. આ સગીરાને તાંત્રિકે લગ્નની લાલચ આપી અને બનાવટી લગ્ન કરીને ગર્ભવતી બનાવી દીધી હતી.


આ અંગેની વિગતો એવી છે કે, ભોગ બનનારમાંથી એક યુવતીના લગ્ન થઈ ગયા છે અને તેને એક સંતાન પણ છે. જોકે, તે સાસરીમાં જતી ન હોવાથી પિતાએ તેને સુરેશ પટેલની મદદથી તાંત્રિક પાસે મોકલી હતી. તાંત્રિક વિષ્ણુ મહારાજ ઉર્ફે વિષ્ણુ ચતુર નાઇક (ઉ.વ.૩૭, રહે લાખાપોર, તા. તળોદા, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર)એ લાખાપોર ખાતે શેતાનનો છાંયો દૂર કરવાની વિધિના બહાને પહેલા પરિણીત યુવતી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ વિધિ અધુરી હોવાથી યુવતીના પિતાને યુવતીને ફરીથી મોકલવા જણાવ્યું હતું. જોકે, યુવતીએ બીજીવાર જવાનો ઇનકાર કરતાં તાંત્રિકના કહેવા પર બીજી 17 વર્ષીય દીકરીને લાખાપોર મોકલી હતી.

17 વર્ષીય સગીરાને તાંત્રિક વિષ્ણુએ પહેલા તો પ્રેમજાળમાં ફસાવવા કાવતરું કર્યું હતું. તેમજ તેના પિતા ઘર માટે બહુ કરતા હોવાનું તેમજ ઘર પરથી શેતાનની છાયા દૂર કરવા વિધિ કરવા માટે સગીરાને મનાવી હતી. તેમજ શેતાનને ભગાડવા માટે લગ્ન કરવા પડશે તેમ જણાવ્યું હતું. તેમજ સગીરાને ફોસલાવીને તેને નવવધૂનો શણગાર કરી તેની સાથે બનાવટી લગ્ન કર્યા હતા. તેમજ હવે પતિ-પત્ની થયા એટલે સુહાગરાત કરીએ તેમ કહી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંદ્યા હતા. જેને કારણે સગીરા અઠ મહિના ગર્ભવતી બની ગઈ હતી.

બંને બહેનો તાંત્રિક સાથેના સંબંધથી ગર્ભવતી બનતાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. તેમજ પિતાએ પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. જોકે, તાંત્રિકની વાતોમાં આવી ગયેલી સગીરાએ આ અંગે તાંત્રિકને જાણ કરતાં તે સગીરાને નવસારીના અબ્દુલ રહીમ અબ્દુલ રઝાક પઠાણ (ઉ.વ.૩૦) અને સુરેશ પટેલની મદદથી લાખાપોર લઈ ગયો હતો. જોકે, પિતાએ ગણદેવી પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે સગીરાને છોડાવી હતી અને ત્રણેયને જેલભેગા કરી દીધા હતા.