પાટણઃ ગઈ કાલે હારીજમાં શિશુ મંદિર પાછળના ખેતરમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. હત્યા કરેલી હાલતમાં યુવક ની લાશ મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગણતરીની કલાકોમાં જ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. તેમજ ત્રણ હત્યારાની ધરપકડ કરી લીધી છે. આ હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે.


આ અંગેની વિગતો એવી છે કે, હારિજમાં શિશુમંદિર સ્કૂલની પાછળના ભાગમાં આવેલા ખેતરમાં હારીજના અમૃતપુરામાં રહેતો ભુરાભાઈ રામાભાઇ કાગસીયા મલ (ઉં.વ. 22) તેની પ્રેમી સાથે વાત કરી રહી હતો. આ સમયે જ તેના ભાઈઓ આવી ગયા હતા. તેમજ બહેનને પ્રેમી સાથે ઉભેલો જોઇને ઉશ્કેરાઇ ગયા હતા.

યુવતીને તેના બનેવી લાલાજી ઠાકોરે પકડી રાખી હતી. તેમજ શૈલેશજી ખેંગારજી ઠાકોર અને સંજયજી ખેંગારજી ઠાકોરે બહેનના પ્રેમીને રહેંશી નાંખ્યો હતો. આ પછી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. પ્રેમી ભુરાભાઈ જલારામ ચા ઘર હોટલમા નોકરી કરતો હતો. ગત મંગળવારે બપોરે તેનાં મિત્ર અલ્પેશ દરજીનું બાઇક લઇ હોટલથી ઘરે જમવા નીકળી ગયો હતો અને પછી પરત ન ફરતા હોટલ માલિકે તેનાં ઘરે ફોનથી પુછપરછ કરતાં તે ઘરે પણ નહોતો. આથી તેનાં ભાઇએ મોબાઇલ પર સંપર્ક કરવા પ્રયત્નો કર્યા હતા. આસપાસમાં તપાસ દરમિયાન શિશુમંદીર પાછળના ભાગમાં આવેલા ખેતર બાજુથી બાઇક મળી આવ્યુ હતુ.

આ પછી તપાસ કરતાં ઝાપટપુરામા રહેતાં નીતિન ઠાકોરે ભુરો એક યુવતી સાથે હતો અને યુવતીના ભાઇ શૈલેષજી ઠાકોર અને સંજયજી ઠાકોર ભુરાને માર મારતા હતાં. જ્યારે યુવતીના બનેવી લાલાજી ઠાકોરે યુવતીને પકડી રાખી હતી, તેવી જાણકારી આપી હતી. જેને પગલે ખેતરની ચારે બાજુ તપાસ કરતા ભૂરો એક વાડના ખૂણામાં ઝાડ નીચે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.