ICAI:  ધો. 10 થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વ્યવસાય પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા હેતુસર ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે સુપર મેગા કેરિયર કાઉન્સેલિંગ યોજાયું હતું. આ કાર્યક્રમમાં શહેરની અગ્રગણ્ય 50થી વધુ સ્કુલોના 3000થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા આઈસીએઆઈના ચેરપર્સન સીએ બિશન શાહ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.


સુપર મેગા કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા અમદાવાદ શહેરનાં જિલ્લા શિક્ષણ અધિકારી  આર એમ ચૌધરીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ અઘરો છે તેવી માન્યતા ભૂતકાળમાં હતી પરંતુ હવે સીએ બનનારાઓની સંખ્યા વધી છે. કાર્યક્રમમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે પરિશ્રમ એ જ પારસમણી છે, તે મંત્રને અનુસરી મહેનત કરીએ તો અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે.


આઈસીએઆઈના વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સીએ બનનારાઓની સંખ્યા 3થી 5 ટકા જેટલી હતી. જ્યારે હવે ડિઝિટલાઈઝેશનના જમાનામાં રિસોર્સિસ વધવાના કારણે પરિણામની ટકાવારી 15થી 17 ટકા સુધી રહે છે. કાર્યક્રમમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને સીએ વ્યવસાય અંગેના કોર્સ માટે પ્રોત્સાહિત કરતાં તેમણે જણાવ્યું હતું કે ધોરણ 10 પાસ થયા બાદ આપ સીએના અભ્યાસ માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને ધોરણ 12 પાસ કર્યા બાદ આપ સીએ ફાઉન્ડેશનનો કોર્સ કરી શકો છો. નવેમ્બર 2023થી અમલી બનનારા સીએના નવા અભ્યાસક્રમમાં પેપરોની સંખ્યા ઘટશે અને સમયમર્યાદા પણ ઘટશે.


સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર અને કાર્યક્રમના ચેરમેન સીએ હંસરાજ ચૂગે જણાવ્યું હતું કે, ભારતના માનનીય વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે આગામી દિવસોમાં ભારતને 5 ટ્રિલિયનની ઈકોનોમી બનાવવાની છે તે સાકાર કરવા માટે સીએની ભૂમિકા મહત્વની રહેશે. વર્ષ 2030 સુધીમાં ભારતને સુપર ઈકોનોમી બનાવવા દરેક સીએએ મહત્વનો રોલ અદા કરવાનો રહેશે.




સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર અને કાર્યક્રમના કો-ચેરમેન સીએ પુરૂષોત્તમ ખંડેલવાલ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓનું ગણિત સારું છે તેઓ માટે સીએનો કોર્સ સહેજપણ અઘરો નથી. વર્તમાન સમયમાં ભારત અને સમગ્ર વિશ્વમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસની જેટલી માંગ છે તેટલા પ્રમાણમાં સીએની ઘટ વર્તાય છે. જેથી રોજગારી માટે સીએ એ એક ઉત્તમ વિકલ્પ છે. જે વિદ્યાર્થી સીએ ફાયનલ પાસ ન કરી શકે પરંતુ આઈપીસીસી પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને બેચલર સમકક્ષની ડીગ્રી હવેથી આપવામાં આવશે જે ડિગ્રીના આધારે વિદ્યાર્થી કોઈપણ અગ્રગણ્ય કોર્પોરેટ ક્ષેત્રમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી પ્રાપ્ત કરી શકશે.


આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું કે, વિશ્વના વિકસિત દેશોમાં આઈટી રિટર્ન ભરનારાની ટકાવારી 60 ટકા જેટલી છે, જ્યારે ભારતમાં આઈટી રીટર્ન ભરનારાની ટકાવારી માત્ર 6 ટકા જેટલી છે. આગામી દિવસોમાં રિટર્ન ભરનારાઓની સંખ્યા જેમ-જેમ વધશે, તેમ-તેમ સીએની વ્યાપક માંગ પણ ઊભી થશે. સીએ બન્યા બાદ આપની જવાબદારી માત્ર એકાઉન્ટીંગ અને ઓડિટીંગ પૂરતી નથી રહેતી, સીએ બન્યા બાદ આપ નવી સ્ટાર્ટઅપ પોલીસી પ્રમાણે વ્યાવસાય શરૂ કરી સીઈઓ બની શકો છો અથવા કોઈપણ કોર્પોરેટ ક્ષેત્રમાં સીએફઓ તરીકે પણ રોલ અદા કરી શકો છો. સીએ બનવા ધગસ હોવી જરૂરી છે. એકવાર મહેનત કરી લો ત્યારબાદ સફળતા તમારા કદમ ચૂમશે.


આ કાર્યક્રમમાં અમદાવાદ બ્રાન્ચના વાઈસ ચેરપર્સન સીએ અંજલી ચોક્સી, સેક્રટરી નીરવ અગ્રવાલ, સીએ સમીર ચૌધરી, સીએ ચેતન જગતિયા, સીએ અભિનવ માલવિયા, સીએ રિકેશ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.


Education Loan Information:

Calculate Education Loan EMI