વડોદરા: કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા જગદીશ પટેલની 75મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા આપવા વડોદરા આવેલા રાષ્ટ્રીય કોંગ્રેસનાં ખજાનચી અને સોનિયા ગાંધીનાં પૂર્વ સલાહકાર અહેમદ પટેલે દેશમાં કોગ્રેસની સરકાર બનવાની વાત કહી હતી અને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દેશની પ્રજાને હેરાન તેમજ ગુમરાહ કરી રહી છે. જેથી આ વખતે કોંગ્રેસની સરકાર બનશે અને નરેન્દ્ર મોદી 23 મેનાં ચૂંટણી પરિણામો બાદ પૂર્વ વડાપ્રધાન કહેવાશે.

કોંગ્રેસને આંતકવાદ સાથે સરખાવનાર ભાજપને જવાબ આપતાં અહેમદ પટેલે કહ્યું હતું કે, ઈતિહાસ ગવાહ છે અને ગાંધીજીથી માંડીને રાજીવ ગાંધી આંતકવાદ સામે લડીને તેનો ભોગ બન્યા છે. ભાજપ ખુરશી બચાવવા આતંકવાદ અને રાષ્ટ્રવાદનો સહારો લઈ રહી છે.

દેશમાંથી ગરીબી દૂર કરવા માટે પોતાનાં મેનિફેસ્ટોમાં ગરીબ પરિવારોને 72 હજાર રૂપિયા આપવાનો વાયદો કરનાર કોંગ્રેસનો ભાજપા મજાક ઉડાવી રહી છે. ત્યારે અહેમદ પટેલે કહ્યું હતું કે, ભાજપને માત્ર મજાક ઉડાવતાં આવડે છે. જ્યારે કોંગ્રેસ જે વાયદા કરે છે પૂરા કરીને બતાવે છે. અહેમદ પટેલે ગુજરાતમાં કોંગ્રેસને 12થી 15 બેઠકો પર જીત મળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.