નવી દિલ્હીઃ વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ કહ્યું કે, રાફેલ વિમાન જો સમય પર ભારતીય વાયુસેનામાં સામેલ થયા હોત તો પાકિસ્તાનના બાલાકોટ એર સ્ટ્રાઈકનું પરિણામ કંઈક વધારે સારું આવ્યું હોત. તેમણે કહ્યું કે, બાલાકોટ અભિયાન દરમિયાન ટેકનીક અમારા પક્ષમાં ન હતી.




અહેવાલ મુજબ બી એસ ધનોઆએ આ નિવેદન ભવિષ્યની એરોસ્પેસ શક્તિ અને ટેકનીકલી પ્રભાવો પર આયોજિત એક સેમિનારને સંબોધિત કરતા આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘બાલાકોટ અભિયાનમાં અમારી પાસે ટેકનીક હતી અને અમે ઘણી સાવચેતી સાથે હથિયારોનો ઉપયોગ કરી રહ્યા હતા. પછી અમારી શક્તિ વધુ વધી કારણ કે અમે અમારા મિગ-21, બાઇસન અને મિરાજ-2000 વિમાનોને વધારે શક્તિશાળી બનાવ્યા હતા.’

ધનોઆએ વધુ ઉમેરતા કહ્યું કે, ‘જો અમે સમય રહેતા રાફેલ વિમાનને સેનામાં સામેલ કરી લીધા હોત તો પરિણામ આપણા પક્ષમાં વધુ હોત.’ તમને જણાવી દઈએ કે 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલ આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ 26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટ ક્ષેત્રમાં જૈશ-એ-મહોમ્મદની આતંકી છાવણીઓને ધ્વસ્ત કરી હતી.