Loksabha Election 2024 LIVE : સાબરકાંઠા બાદ હવે અમરેલીમાં ઉકળાતા ચરૂ જેવી સ્થિતિ, ઉમેદવારી માટે લોહિયાળ જંગ

. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 31 Mar 2024 03:06 PM
દિલ્લીમાં કૉંગ્રેસ CECની બેઠક, 7 બેઠકોના ઉમેદવારોને લઈને થશે મંથન

લોકસભાની બાકીની સાત બેઠકોના ઉમેદવારોને લઈને CECની બેઠકમાં મંથન થશે. સુરેન્દ્રનગર અને રાજકોટ બેઠકને લઈને ગુંચવાયેલું  કોકડું ઉકેલવાના પ્રયાસ કરવામાં આવશે. સુરેન્દ્રનગરથી રાજેશ ગોહિલ, ઋત્વિક મકવાણાનું નામ ચર્ચામાં  છે.સુરેન્દ્રનગરથી કૉંગ્રેસ મહિલા ઉમેદવારને પણ ટિકિટ  આપી શકે છે,સુરેન્દ્રનગરથી કલ્પના મકવાણાનું નામ પણ ચર્ચામાં  છે.રાજકોટથી પરેશ ધાનાણીને ચૂંટણી લડાવવાના પ્રયાસો યથાવત છે. ધાનાણી ઈન્કાર કરે તો હિતેષ વોરાને  ટિકિટ મળી શકે છે,જૂનાગઢથી હીરા જોટવા, જલ્પા ચુડાસમાનું નામ ચર્ચામાં છે. મહેસાણાથી આશાબેન ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે.

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી કરી જાહેર

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં દામોદર અગ્રવાલને રાજસ્થાનની ભીલવાડા લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા ભાજપે ગઈકાલે તેના ઉમેદવારોની આઠમી યાદી બહાર પાડી હતી. જેમાં પંજાબની ગુરદાસપુર લોકસભા સીટ પરથી વર્તમાન સાંસદ અને બૉલીવૂડ એક્ટર સની દેઓલની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. તેમની જગ્યાએ દિનેશ સિંહને ટિકિટ આપવામાં આવી હતી.

અમરેલી જિલ્લા ભાજપમાં ભડકા બાદ ડેમેજ કંટ્રોલ માટે કવાયત, ધર્મેંદ્રસિંહ જાડેજા પહોંચશે અમરેલી

અમરેલી જિલ્લા ભાજપમાં લોકસભાની ચૂંટણીમાં   ભરત સૂતરિયાને ટિકિટ આપતા અહીં વિરોધ સર્જાયો છે. ભરત સુતરિયાની ટિકિટ પરત લેવાની માંગણી થઇ રહી છે. આ સ્થિતિમાં ભાજપ નેતા ધર્મેંદ્રસિંહ   અમરેલી પહોંચી રહ્યાં છે. અને કાર્યકરો સાથે બેઠક કરીને ઉમેદવાર ભરત સુતરીયાને સહકાર આપવા નેતાઓને સૂચના આપશે, ધર્મેંદ્રસિંહ જાડેજા  નારણ કાછડિયા, તેમના સમર્થકોની નારાજગી દૂર કરવાના પ્રયાસ કરશે. મોડી સાંજે પત્રકારો સાથે સ્નેહમિલન પણ યોજાશે,

ટિકિટના કકળાટ વચ્ચે ભાજપ નેતાનો બળાપો

ભાજપની શિસ્તબંધ કહેવાતી પાર્ટીમાં પણ ઉમેદવારોના નામને લઇને વિખવાદની સ્થિતિ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ભાજના નેતા ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવતા કહ્યું કે, “'રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા પોથીમાંના રીંગણા બનીને રહી ગઈ''પક્ષ પ્રત્યેની નિષ્ઠા,વફાદારીની વાતો પોથીમાંના રીંગણા બનીને રહી ગઈ,જ્ઞાતિવાદ-જાતિવાદનો બોમ્બ સૌથી વધુ ભયજનક, જે મેરીટ ગુણવત્તાના ફુરચા ઉડાડી દે છે”  

પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રતિક્રિયા

અમરેલીમાં એક બાજુ ઉમેદવારના નામને લઇને જિલ્લા ભાજપમાં જ મતભેદ સર્જાતા બે જુથ પડી ગયા છે તો પોસ્ટર વોર અને મારામારીની ઘટના વચ્ચે અમરેલીમાં ભાજપનું સંમેલન યોજાઇ રહ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમરેલી જિલ્લા  ભાજપમાં જુથબંધીને લઇને જણાવ્યું કે, અમરેલીમાં ન તો કોઈ વિરોધ છે, ન તો કોઈ રોષ  ભરત સુતરિયા જ રહેશે ઉમેદવાર”

અમરેલીમાં ઉમેદવારના નામ પર બબાલ બાદ ભરત સુતરિયાએ શું કહયું?

અમરેલી જિલ્લા ભાજપમાં ઉમેદવારના નામને લઇને વિવાદ સર્જાયો છે. ગત રાત્રે ઉમેદવારને બદલવાની માંગણી કરતા હિરેન વિરડીયા પર હુમલો થયો છે.સમગ્ર મામલો ગરમાતા સાંસદ કાછડિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા  જો કે તેમની સાથે પણ ઝપાઝપી થઇ હોવાના અહેવાલ છે. આ બધાની વચ્ચે ભાજપે જાહેર કરેલા અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુરતિયાએ વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો છે. અમરેલીમાં પોસ્ટર વિવાદ અને મારામારી બાદ ઉમેદવાર  ભરત સુતરીયાએ  વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, “કાદવ ઉછાળવા હોય તે ઉછાળે, અમરેલીમાં તો ખીલવાનું કમળ જ છે”

અમરેલી ભાજપમાં વિખવાદ? ઉમેદવાર બદલવાની માંગના લાગ્યા પોસ્ટર

 એક બાજુ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગી છે. ઠેર ઠેર રાજપૂત સમાજ રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યો  છે. તો બીજી તરફ અમરેલીમાં પણ ભાજપની મુશ્કેલી વધતી હોય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં અહીં  પોસ્ટર લાગ્યાં છે. ધારીના દેવળા ગામે  પોસ્ટર લાગ્યાં છે. અમરેલીમાં ઉમેદવાર બદલવાની માગ સાથેના  પોસ્ટર વોર જોવા મળી રહી છે.

વિવાદને શાંત પાડવા સાંસદ કાછડીયા ઘટનાસ્થળે પહોચ્યાં

વિવાદને શાંત પાડવા સાંસદ કાછડીયા ઘટનાસ્થળે પહોચ્યાં છે. જો કે અહીં કાછડિયા સાથે પણ ઝપાઝપી થઇ હોવાના અહેવાલ છે. કાર્યવાહીમાં વિલંબ થતાં સાંસદ કાછડિયા પોલીસ પર ભડક્યાં હતા. ભાજપના બંને જુથના કાર્યકરોને મારામારીમાં ઇજા પહોંચતા સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે.

અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો, ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર પર હુમલો

રાજકોટ, સાબરકાંઠા, વડોદરા, જુનાગઢ બાદ હવે અમરેલીમાં પણ ભાજપ માટે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ બની રહી છે. મોડી અહીં મારામારી સર્જાઇ છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ શિસ્તબંધ કહેવાતી ભાજપ પાર્ટીમાં પણ ઉમેદવારોના નામને લઇને વિખવાદ જોવા મળી રહ્યો છે. અમરેલી લોકસભાની બેઠકના ઉમેદવારને લઇને ભાજપમાં અંદરો અંદરના મતભેદ સપાટી પર જોવા મળી રહ્યાં છે. લોકસભા ટિકિટને લઈને અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. મોડી રાત્રે ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી સર્જાઇ હતી. ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર હિરેન વિરડીયા પર હુમલો થયો છે.ભાજપના બંન્ને જૂથ વચ્ચે મારામારી થતા વિવાદ  વધુ વકર્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.
બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે.


રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.


17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.                                                                                   
 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.