અમદાવાદઃ આગામી 23મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ આવવાનું છે, ત્યારે સૌની નજર તેના પર મંડાયેલી છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર બનાવી રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં કોંગ્રેસને 26માંથી બે સીટ મળી રહી છે. જોકે, ગઈ કાલે પત્રકારોના પોલમાં કોંગ્રેસ ચાર બેઠક જીતી રહી છે.




આણંદ બેઠકની વાત કરીએ તો પત્રકારોના મતે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી જીતી શકે છે. પત્રકારોના મતે તેઓ 18 હજાર મતથી જીતી શકે છે. ગત ચૂંટણીમાં મોદી લહેરમાં તેઓ હારી ગયા હતા.



અમરેલી બેઠક પર પત્રકારોના મતે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની જીત થઈ શકે છે. દસમાંથી નવ પત્રકારો તેમની જીતનું અનુમાન લગાવી રહ્યા છે. તેઓ 29 મતોથી જીતે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



સુરેન્દ્રનગરની વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલ જીતે તેવું પત્રકારો અનુમાન લગાવી રહ્યા છે. જોકે, તેઓ માત્ર 24 હજારની લીડથી જીતે તેવું અનુમાન લગાવઈ રહ્યું છે.



આ ઉપરાંત ઉત્તર ગુજરાતની પાટણ બેઠક પણ પત્રકારોના પોલમાં કોંગ્રેસના ફાળે જઈ રહી છે. આ બેઠક પર પત્રકારોના મતે પાટણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરની જીત થઈ શકે છે. જગદીશ ઠાકોર 25થી વધુ મતોથી તેઓ જીતી શકે છે.