નાંદેડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં એક ચૂંટણી રેલીમાં કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. મોદીએ કૉંગ્રેસની તુલના ડૂબતા ટાઇટેનિક જહાજ અને ગજની સાથે કરી હતી.  પીએમ મોદીએ રાજદ્રોહ કાયદાને ખતમ કરવાના વાયદાને લઈને પણ કૉંગ્રેસની નિંદા કરી છે. મહારાષ્ટ્રના નાંદેડ, લાતૂર, હિંગોલી અને પરભનીના ભાજપના ઉમેદવારના સમર્થનમાં એક રેલીને સંબોધન કરતા કહ્યું કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જે બેઠક પસંદ કરી છે ત્યાં બહુમતી સમુદાય અલ્પસંખ્યામાં છે.


કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર પીએમ મોદીએ કહ્યું કે મધ્યમ વર્ગ માટે ઢંઢેરામાં કંઈજ નથી. ન્યાય યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે વિપક્ષની આ યોજનાના માટે ભંડોળ ભેગુ કરવા મધ્યમવર્ગ પર બોજ મુકવાની યોજના છે. મોદીએ કહ્યું રાજદ્રોહના કાયદાને ખતમ કરવાનો કૉગ્રેસનો વાયદો ટૂકડે ટૂકડે ગેંગને ખુલ્લી લાયસન્સ આપવા જેવું છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, જ્યારે પણ કૉંગ્રેસ મુશ્કેલીમાં હોય છે ત્યારે તે ખોટા વાયદાઓ કરે છે અને ‘ગજની’ બની જાય છે. કૉંગ્રેસ એક ‘ટાઈટેનિક’ જહાજ છે જે ડૂબતું નજર આવી રહી છે. તેઓએ કહ્યું કે 2014માં ચૂંટણીમાં પાર્ટી ઘટીને 44 બેઠકો પર સમેટાઈ ગઈ છે. આ વખતે તેઓને તેનાથી વધુ ખરાબ સ્થિતિનો ડર સતાવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના જેટલા ધારાસભ્ય છે. તેનાથી વધુ તો તેના જૂથો છે.

જમ્મુ-કાશ્મીરના નેશનલ કૉંફ્રેન્સના નેતાઓની માંગનો હવાલો આપતા કહ્યું કે ‘કૉંગ્રેસ અને તેના સહયોગી બે વડાપ્રધાનની માંગ કરી રહ્યાં છે. એક દિલ્હીમાં અને બીજા જમ્મુ કાશ્મીરમાં.’ મોદીએ આક્ષેપ લગાવતા કહ્યું કે “જમ્મુ-કાશ્મીરની સમસ્યા અને આતંકવાદ તથા નક્સલવાદ માટે કૉંગ્રેસ જવાબદાર છે. તેઓએ કૉંગ્રેસ પર પાકિસ્તાન પાસેથી પૈસા લેનારા અલગાવવાદીઓ સાથે વાતચીત માટે ઇચ્છુક હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે.”