નવી દિલ્હીઃ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીના 15 ઉમેદવારો જાહેર કરવાની સાથે વિધાનસભાની ત્રણ સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ ત્રણેય ઉમેદવારો તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયા હતા અને ત્રણેયને ટિકિટ ફાળવવામાં આવી હતી.


ધ્રાંગધ્રાથી પરશોત્તમભાઈ સાબરિયા, જામનગર ગ્રામ્યથી રાઘવજીભાઈ પટેલ અને માણાવદરથી જવાહર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. દેશમાં લોકસભાની ચૂંટણી સાથે 34 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. આ પેટા ચૂંટણીમાં રાજ્યની પાંચ બેઠકોનો પણ સમાવેશ થાય છે.

ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ, રાજ્યની પાંચ વિધાનસભા બેઠકોનો સમાવેશ લોકસભા સાથે યોજાનાર પેટા ચૂંટણી માટે કરાયો છે. આ પાંચ બેઠકો અગાઉ કોંગ્રેસ પાસે હતી. આ બેઠકોમાં 21- ઉંજા અને 91- તાલાળા, માણાવદર, જામનગર ગ્રામ્ય અને ધ્રાંગધ્રા બેઠકનો સમાવેશ થાય છે. તાલાળા બેઠકના ધારાસભ્ય ભગવાન બારડને બાદ કરતાં તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાતા પેટાચૂંટણી યોજાશે. આ પાંચેય બેઠકો પર 23મી એપ્રિલે લોકસભાની પેટા ચૂંટણી સાથે જ મતદાન થશે.

રાજ્યની 91-તાલાળા બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ભગવાન ભાઈ બારડનો વિજય થયો હતો. તાજેતરમાંજ ખનિજ ચોરીના કેસમાં કોર્ટ દ્વારા તેમને 2 વર્ષ અને 9 માસની સજા થતા તે નવા કાયદા મુજબ, ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠર્યા હતા. ભગવાન ભાઈ બારડને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ કર્યા હતા. 21- ઉંજા બેઠક પર વિધાન સભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય આશા બહેન પટેલનો વિજય થયો હતો. આશા બહેન પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા તેમણે ધારાસભ્ય તરીકે રાજીનામું સોપ્યું હતું.