Lok Sabha Election 2024: છેલ્લા કેટલાક સમયથી રાજકોટ બેઠકને લઇને વિવાદ ચાલી રહ્યો છે, ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે કે, ભાજપે રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકીટને રદ્દ કરવી જોઇએ, ઉલ્લેખનીય છે કે, એક સભા દરમિયાન રૂપાલાએ રજવાડા અને ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઇને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયો આંદોલન કરી રહ્યાં છે. 

Continues below advertisement

ગુજરાતની તમામ 26 બેઠકો પર મહાજંગ છેડાયો છે, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને છે, ત્યારે વિવાદોની વચ્ચે આજે પરશોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવવા ઉમેદવારી પત્રક ભરવા પહોંચશે. આજે લોકસભા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરશે. રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા ઉમેદવારી પત્રક ભરશે. કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા ઉમેદવારી પત્રક ભરશે. 

આ ઉપરાંત ભાવનગર બેઠક પરથી નિમુબેન બાંભણીયા ઉમેદવારી પત્રક ભરશે. બનાસકાંઠા બેઠકથી રેખાબેન ચૌધરી ઉમેદવારી પત્રક ભરશે. સાબરકાંઠા બેઠકથી શોભનાબેન બારૈયા ઉમેદવારી પત્રક ભરશે. પાટણથી ભરતસિંહ ડાભી ઉમેદવારી પત્રક ભરશે. અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા પણ આજે ઉમેદવારી પત્રક ભરશે. બારડોલીથી પ્રભુ વસાવા ઉમેદવારી પત્રક ભરશે. દાદરા નગર હવેલીથી કલાબેન ડેલકર પણ આજે ઉમેદવારી પત્રક ભરશે. 

Continues below advertisement

 

ક્ષત્રિય સમાજના આંદોલનને લઇને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે શું આપી પ્રતિક્રિયા?

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી અને ભાજપના સંકલ્પ પત્રની જાણકારી આપી હતી.  નોંધનીય છે કે ભાજપે ગઈકાલે જ સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું. 70 વર્ષથી વધુના તમામને આયુષ્માન ભારતમાં સામેલ કરવાનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરાયો છે. પત્રકાર પરિષદ દરમિયાન ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી હતી. પાટીલે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ સાથે અમે સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ સંપર્કમાં છે. હું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ક્ષત્રિય સમાજના સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજ સાથે વાત ચાલી રહી છે. વિવાદનો સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયાસ છે. પાટીલે કહ્યું હતું કે કૉંગ્રેસે તેના વચનો ક્યારેય પૂર્ણ કર્યા નથી. ભાજપે તમામ વચનોને પૂર્ણ કર્યા છે. કાર્યો પૂરા કરવાનું અમારૂ સંકલ્પ પત્ર છે. અમે વચન નથી આપતા, ગેરન્ટી આપીએ છીએ. વન નેશન, વન ઈલેક્શનને લઇને પાટીલે કહ્યું હતું કે વન નેશન, વન ઈલેક્શન માટે PM ખૂબ જ ગંભીર છે. PMએ આંકડાકીય રીતે પણ તમામ માહિતી મેળવી છે. એક કમિટી બનાવીને ચૂંટણી પંચને એક અહેવાલ પણ આપી દીધો છે. સંકલ્પ પત્રમાં આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યુ?

પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વારસાનો વૈભવ જાળવી રાખવાની મોદીની ગેરન્ટી છે. ભાજપ વિકાસ નક્કર કાર્યો કરનારી પાર્ટી છે. ભાજપે જે કહ્યું તે કરી બતાવ્યું છે. સંકલ્પ પત્ર વધુ જનતા માટે ગેરન્ટી કાર્ડ સમાન છે. પ્રજાની સેવાની ગેરન્ટીનું આ સંકલ્પ પત્ર છે. વધુમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનને ગુજરાત અને દેશના આશીર્વાદ મળી રહ્યા છે. PMની વિકાસની રાજનીતિ પર જનતાને વિશ્વાસ છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનું કમળ ખીલશે. મોદી સરકાર સમાજના દરેક વર્ગને સાથે રાખી ચાલે છે. દેશની 80 કરોડ જનતાને વિનામૂલ્યે અનાજ આપ્યું છે. આગામી વર્ષમાં હજુ ત્રણ કરોડ લોકોને ઘરનું ઘર મળશે. મુખ્યમંત્રીએ કહ્યું કે નારી શક્તિ વંદના અધિનિયમથી મહિલાઓને અનામત મળ્યું છે.ભાજપ રાષ્ટ્ર પ્રથમના સૂત્રથી ચાલતી પાર્ટી છે. ગરીબ, યુવાશક્તિ,ખેડૂત અને મહિલાશક્તિને ખાસ મહત્વ આપે છે. મોદીની ગેરન્ટી એટલે સંકલ્પથી સિદ્ધી છે. મોદીની ગેરન્ટી એટલે ગેરન્ટી પુરી થવાની ગેરન્ટી છે. ગરીબના કલ્યાણ માટેનું સંકલ્પ પત્ર છે.