અમદાવાદઃ ગુજરાતમાં ભાજપે કુલ 16 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે.  ભાજપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાકી રહેલી 10માંથી 6 બેઠકોના સાંસદોની ટિકિટ કપાવાની નક્કી છે. તેમની ટિકિટ કેમ કપાશે તેનાં કારણ જાણવા જેવાં છે. આ બેઠકોમાં જૂનાગઢ, સુરત, આણંદ, મહેસાણા, પંચમહાલ, છોટા ઉદેપુર બેઠકોનો સમાવેશ થાય છે.


વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જૂનાગઢ બેઠક પર ભાજપ નવા ચહેરાની શોધમાં છે. વર્તમાન સાંસદ રાજેશ ચૂડાસમાને રીપીટ કરાય તેવી શક્યતા નથી. સુરત ભાજપની સલામત બેઠક છે. આ કારણે વર્તમાન સાંસદ દર્શના જરદોસને રિપીટ કરવાને બદલે પાર્ટી અન્ય કોઇ દાવેદારને ટિકિટ આપી શકે છે.


આણંદમાં કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી ઉમેદવાર જાહેર થતાં આ બેઠક ઉપર ભાજપને રણનીતિ બદલવાની ફરજ પડી છે. તેથી દિલીપ પટેલની ટિકિટ કપાશે. મહેસાણામાં વર્તમાન સાંસદ જયશ્રીબહેન પટેલને સ્થાને પાટીદાર સમાજના નવા ચહેરાને અહીં મેદાનમાં ઉતારાશે.



પંચમહાલમાં વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ મજબૂત દાવેદાર છે પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીની નારાજગી દૂર કરવા તેમને ટિકિટ અપાય તેવી શક્યતા છે. છોટાઉદેપુરમાં કોંગ્રેસે મોહનસિંહ રાઠવાના પુત્ર રણજિત રાઠવાનું નામ નક્કી કરતાં  રામસિંહ રાઠવાને કાપવામાં આવશે.