લખનઉ: લોકસભા ચૂંટણી 2019ને લઈને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)એ તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનના આ ઘટક દળના ભાગમાં લોકસભાની ત્રણ બેઠક આવી છે. પાર્ટીએ ત્રણે બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આરએલડીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત સિંહ મુઝફ્ફરનગરથી ચૂંટણી લડશે. ત્યારે તેમના પુત્ર જયંત ચૌધરીને બાગપતથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મથુરાથી નરેન્દ્ર સિંહને આરએલડીએ ટિકિટ આપી છે.




સપા-બસપાની સાથે ગઠબંધનમાં સામેલ થયા બાદ આરએલડી ઉપાધ્યક્ષ જયંત ચૌધરીએ શનિવારે બસપા સુપ્રીમો માયાવતી સાતે મુલાકાત કરી હતી. આરએલડી પ્રવક્તા અનિલ દુબેએ કહ્યું હતું કે, જયંત ચૌધરી અને માયાવતીની મુલાકાત બસપા સુપ્રીમોના આવાસ પર થઈ હતી. તે દરમિયાન ચૂંટણીને લઈને વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.



દુબેએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ વિશેષકર પશ્ચિમ ઉત્તર પ્રદેશની ચૂંટણી તૈયારીઓ, પ્રચારની રીત અને સંગઠનને મજબૂત કરવા વિશે બંને નેતાઓએ વિસ્તારમાં વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુલાકાત દરમિયાન જયંત ચૌધરી અને માયાવતીની સાથે તેઓ સ્વયં, બસપા મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા પણ હાજર હતા.