બેંગલુરુઃ કોંગ્રેસના દિવંગત નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એમએચ અંબરીશની પત્ની અને દક્ષિણ ભારતીય બહુભાષી અભિનેત્રી સુમલથાએ કહ્યું કે, તે મંડ્યા લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં સુમલથાએ મંડ્યા સીટ પર તમામ અટકળોને વિરામ આપવા કહ્યું. તેણે કહ્યું, લોકસભા ચૂંટણીમાં હું અપક્ષ ઉમેદવાર તરીક મંડ્યાથી ચૂંટણી લડીશ.




આ સીવાય તેણે વધુમાં જણાવ્યું કે, તે અંબરીશના વિઝનને આગળ વધારવા માગે છે અને એટલા માટે જે તેણીએ અપક્ષ શ્રેત્રથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નવેમ્બર 2018માં નિધન થયું હતું. તેમણે લોકસભામાં માંડ્યાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

સુમલથાએ સ્વીકાર્યું હતું કે, તેને આશા હતી કે કોંગ્રેસ તેમને લોકસભાની આ સીટ પરથી મેદાન પર ઉતારે, પરંતુ એવું થયું નહીં કારણ કે કોંગ્રેસે તેમના સહયોગી જેડીએસને આ સીટ આપી દીધી. બન્ને પક્ષ વચ્ચે સીટને લઇને થયેલી સમજૂતી અનુસાર જેડીએસ 8 સીટ પરથી ચૂંટણી લડશે, જેમાં માંડ્યાનો પણ સમાવેશ થાય છે, જ્યારે બાકીની 20 સીટ પરથી કોંગ્રેસ ચૂંટણી લડશે.



આ સીવાય જો વાત કરવામાં આવે માંડ્યાની તો જનતા દળ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામીના પુત્ર નિખિલ (29) માંડ્યાની સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવશે. આ મામલે સુમલથા જણાવે છે કે અંબરીશની વિધવા હોવાને લીધે માંડ્યાના લોકોની સેવા કરવી મારી ફરજ છે.