અમદાવાદઃ લોકસભા ચૂંટણી જાહેર થવાની સાથે જ પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં આજે કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે. 2007માં લાઠીની બેઠક પરથી બીજેપીના ધારાસભ્ય રહી ચુકેલા અને બાદમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હનુભાઈ ધોરાજીયાએ આજે ભગવો ખેસ પહેરી લીધો છે.  ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ આજે તેમને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. હનુભા ભાજપમાં સામેલ થવાની સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલીમાં નબળી પડેલી ભાજપને ઘણો ફાયદો થશે તેમ મનાવામાં આવી રહ્યું છે.


હનુભાઈ અમરેલીની લાઠી વિધાનસભા બેઠક પરથી વર્ષ 2007થી 2012 દરમિયાન ધારાસભ્ય રહી ચુક્યા છે. બાદમાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા અને વર્ષ 2014માં લાઠી બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર પેટા-ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાવકુ ઉંધાડ સામે તેમનો પરાજય થયો હતો. હનુભાઈ પાટીદાર અનામત આંદોલન વખતે ખૂબ સક્રિય હતા.

ભાજપમાં જોડાયા બાદ હનુભાઈ ધોરાજીયાએ જણાવ્યું હતું કે, હું કોઈ પણ લાલચ વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે ભાજપમાં જોડાયો છું. હું નિષ્ઠાથી ભાજપનું કામ કરીશ અને આગામી ચૂંટણીમાં અમરેલી બેઠક જીતીને બતાવીશ.

તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા પાસ નેતા હાર્દિક પટેલ અંગે પ્રતિક્રિયા આપતા હનુભાઈએ કહ્યુ કે, પાટીદાર અનામત આંદોલન વખતે હું લાગણીથી હાર્દિક પટેલ સાથે જોડાયેલો હતો. હાર્દિકને અમદાવાદમાં રહેવા માટે મેં મકાન પણ અપાવ્યું હતું. પરંતુ જ્યારથી મને લાગ્યું કે હાર્દિક કોંગ્રેસનું કામ કરી રહ્યો છે ત્યારથી મેં તેને પડતો મૂક્યો હતો. ભોળા પાટીદારોને છેતરવા માટે હાર્દિકે અનામતનું નાટક રચ્યું હતું.

કોંગ્રેસી નેતાઓના હૃદય પરિવર્તનનો વાઘાણીએ કઈ રીતે કર્યો લૂલો બચાવ? જુઓ વીડિયો