નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં ભાજપે ભવ્ય જીત મેળવતા 303 બેઠક પર કબજો કર્યો હતો. નરેન્દ્ર મોદી 30 મેના રોજ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે પરંતુ તે પહેલા પાર્ટીએ અત્યારથી જ આગામી લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આંધ્રપ્રદેશ અને ત્રિપુરાના ઈનચાર્જ સુનીલ દેઓધરના જણાવ્યા મુજબ પાર્ટીએ 2024 લોકસભા ચૂંટણીમાં 333 સીટો જીતવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. 2014માં ભાજપે 282 સીટ જીતી હતી અને 2019માં 300ને પાર કરી ગઈ હતી.


RSSથી ભાજપમાં આવેલા રણનીતિકારે કહ્યું કે, અમારી કોર ટીમ પશ્ચિમ બંગાળથી લઈ તમિલનાડુ સુધી ફેલાયેલી છે. જો અમારે 2024માં 333ના આંકડા સુધી પહોંચવું હશે તો આ ઉપરાંત બીજા રાજ્યો પર ધ્યાન આપવું પડશે. હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, મિશન 333 ત્યારે જ શક્ય બનશે જ્યારે બીજેપી સતત લોકોની અપેક્ષા મુજબના કામો કરશે અને સ્થાનિક ભાષાને મહત્વ આપશે. મેં તેલુગુ શીખવાનું શરૂ કર્યું છે અને બંગાળી પર પ્રભુત્વ મેળવી લીધું છે. જેના કારણે આ રાજ્યોમાં પક્ષને મજબૂત કરવામાં વધારે મદદ મળશે.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે કર્ણાટકની 28માંથી 25, તેલંગાણામાં 17માંથી 4 સીટો જીતી હતી. પરંતુ તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં એક પણ સીટ જીતી શકી નહોતી. જ્યારે પશ્ચિમ બંગાળમાં 2માંથી 18 સીટ જીતી હતી.

દેઓધરે કહ્યું કે, કર્ણાટક જાણીતું અને ભાજપનો ગઢ હોવાના કારણે અહીં સારો દેખાવ કર્યો છે. જ્યારે તમિલનાડુ, તેલંગાણામાં અમારી આટલી પહોંચ ન હોવાના કારણે ધાર્યા મુજબનું પરિણામ લાવી શક્યા નથી. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણના પાંચ રાજ્યોમાં ભાજપે આગળની રણનીતિ નક્કી કરવા મીટિંગ શરૂ કરી દીધી છે.

કેરળમાં ભાજપને ત્રણ સીટ મળવાની આશા હતી. અહીં પક્ષને 12.9% વોટ શેર મળ્યો હતો અને થિરુવનંતપુરમ સીટ જીતવાની સંભાવના હતી પરંતુ તેમ થયું નથી. આંધ્રપ્રદેશમાં પક્ષને માત્ર 0.9% વોટ મળ્યા, જ્યારે નોટાને 1.49% મત મળ્યા હતા. પાર્ટી દ્વારા અહીંયા ત્રણ વરિષ્ઠ નેતાઓને મોકલીને ફીડબેક મંગાવશે. જે બાદ પદાધિકારીઓ અને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તેલંગાણા અને તમિલનાડુમાં પાર્ટી જાતિ આધારિત મતદારો પર ધ્યાન કેન્દ્રીત કરશે.

અલ્પેશ ઠાકોરે કર્યો મોટો દાવો, કોંગ્રેસમાંથી 15થી 17 ધારાસભ્યો આપી શકે છે રાજીનામું

MPની રાજનીતિમાં ઉથલ-પાથલ, BSP ધારાસભ્યએ કહ્યું- બીજેપીએ મને મંત્રી પદ અને 50 કરોડ રૂપિયાની ઓફર કરી