અમદાવાદ: લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ ગુજરાતનાં રાજકરણમાં નવા-જૂનીના એંઘાણ છે. સોમવારે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુલાકાત કર્યાં બાદ ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જાય તેવા એક પછી એક સમાચાર સામે આવી રહ્યા છે.

આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. અલ્પેશ ઠાકોરે આજે બે મોઢે ભાજપના વખાણ કર્યા હતાં. અલ્પેશ ઠાકોરે આજે દાવો કર્યો હતો કે, ભવિષ્યમાં હજી કોંગ્રેસમાંથી 15થી 17 ધારાસભ્યો ભાજપમાં જોડાય તો નવાઈ નહીં. કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે 15થી 17 ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા છે અને તેઓ ઘણે તે ઘડીએ ભાજપમાં જોડાઈ શકે છે.

નોંધનીય છે કે, સોમવારે અચાનક રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને નીતિન પટેલ વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. અલ્પેશ ઠાકોર અને નીતિન પટેલ વચ્ચે લગભગ 20 મીનિટ સુધી વાતચીત ચાલી હતી.

જોકે નીતિન પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે કયા મુદ્દે વાતચીત ચાલી તે જાણવા મળ્યું નથી. અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો તેજ બની છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોર સાથે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ હાજર રહ્યાં હતાં.