કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી મળતી કુર્તા અને મિઠાઇની ભેટને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા તૃણમુલ કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મિઠાઇઓ અને ઉપહારથી અતિથિઓનું સ્વાગત કરવું બંગાળની સંસ્કૃતિ છે, પણ આનાથી બીજેપીને એકપણ વૉટ નહીં મળે.


વડાપ્રધાને અભિનેતા અક્ષય કુમારને આપેલા ઇન્ટરવ્યૂમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, મમતા બેનર્જી તેમને દરવર્ષે મિઠાઇઓ અને કૂર્તા મોકલાવે છે. આ ઇન્ટરવ્યૂને કેટલીય ટીવી ચેનલોએ પ્રસારિત કર્યો હતો, જેમાં વડાપ્રધાને મમતા તરફથી મળેલા ઉપહારોનો ઉલ્લેખ કર્યો હતો. મમતા બેનર્જીએ આ ટિપ્પણી હુગલી જિલ્લાના શ્રીરામપુરમાં એક જનસભા દરમિયાન કરી હતી.



મમતા બેનર્જીએ વડાપ્રધાનનુ નામ લીધા વિના કહ્યું કે, મિઠાઇઓ અને ચાથી અતિથિઓનું સ્વાગત કરવું બંગાળની સંસ્કૃતિ છે. ખાસ પ્રસંગોઓ અમે તેમને શુભકામનાઓ આપીએ છીએ. અમે મહેમાનોનું સ્વાગત મિઠાઇઓથી અને ઉપહારોથી કરીએ છીએ, પણ આનાથી તેમને એક પણ મત નહીં મળે.