નવી દિલ્હીઃ પીએમ મોદીએ 2019ની ચૂંટણીમાં ભાજપને મળેલ પ્રચંડ જીત બાદ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ચોકીદાર શબ્દ હટાવ્યો છે. આ પહેલા કોંગ્રેસે ‘ચોકીદાર ચોર હૈ’ના નારાના જવાબમાં પ્રધાનમંત્રી મોદી સહિત કેબિનેટના તમામ મંત્રીઓએ ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર લગાવ્યું હતું.


મોદીએ ચોકીદાર શબ્દ હટાવતા ટ્વીટ કર્યું કે, ‘સમય આવી ગયો છે કે, ચોકીદારની ભાવનાને ઉપરના સ્તરે લઈ જવામાં આવે. આ ભાવનાને જીવિત રાખતા અમે ભારતની પ્રગતિ માટે કામ કરવાનું ચાલુ રાખીશું. ટ્વીટર પર મારા નામમાંથી ચોકીદાર શબ્દ હટાવાઈ રહ્યો છે. પણ, આ શબ્દ મારો અભિન્ન હિસ્સો રહેશે. હું તમને બધાને પણ આવું જ કરવાનો આગ્રહ કરું છું.’



જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી પ્રચારમાં ચોકીદાર શબ્દ છવાઈ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને ચોકીદાર ગણાવ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી રાફેલ ડીલમાં કૌભાંડનો આરોપ લગાવતા ‘ચોકીદાર ચોર હૈ’નો નારો આપ્યો. બાદમાં પીએમ મોદીએ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લગાવી દીધો હતો. તેમની સાથે સાથે અન્ય કેન્દ્રીય પ્રધાનોએ પણ ટ્વિટરમાં પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લગાડ્યો હતો.