નવી દિલ્હીઃ મેરઠ બાદ વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના રુદ્રપુરમાં રેલી સંબોધિત કરી હતી. લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2019 ચૂંટણીના પરિણામો શું આવવાના છે અહી મિની ઇન્ડિયા જોઇને સાફ દેખાઇ રહ્યું છે. જે ઉત્તરાખંડનું સ્વપ્ન આપણા અટલ બિહારી વાજપેઇએ જોયું હતું તે આજે સાકાર થતું દેખાઇ રહ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, હું યાદ અપાવવા માંગું છું કે આપણા દેશના વીર સૈનિકોને અપમાનિત કરવામાં આવી રહ્યા છે. દેશના સેનાનાયકને અપશબ્દ કહેવામાં આવી રહ્યા છે. આ ઉત્તરાખંડ વીરોની ભૂમિ છે. આ ભૂમિ પર દેશના ચોકીદારને આશિર્વાદ આપવા માટે એકસાથે આટલા બધા ચોકીદાર નીકળી પડ્યા છે.


70 વર્ષો સુધી ગરીબો સાથે દગો કરનારી કોગ્રેસ ક્યારેય ગરીબો અંગે વિચારી શકે નહીં. એટલા માટે આજે દેશનો ગરીબ પણ કહી રહ્યો છે કે ગરીબી હટાવવા માટે કોગ્રેસને હટાવવી જરૂરી છે. કોગ્રેસ જ ગરીબીનું કારણ છે. કોગ્રેસે પૂર્વ સૈનિકોને વર્ષો સુધી દગો આપ્યો. વન રેન્ક વન પેન્શનને લટકાવી રાખ્યું. તેમણે આ માટે 500 કરોડનું બજેટ રાખ્યું હતું. અમારી સરકારે વન રેન્ક વન પેન્શનને મંજૂરી આપી અને 35000 કરોડ રૂપિયા સૈનિકો સુધી પહોંચાડ્યા છે.

ચાર પેઢી અગાઉ ગરીબી હટાવવાનો નારો કોગ્રેસે આપ્યો હતો તેને આજે પણ લગાવવામાં આવી રહ્યો છે. આજે દેશની સેનાને આધુનિક તોપો મળી રહી છે, આધુનિક હથિયારો મળી રહ્યા છે. બુલેટપ્રુફ જેકેટ મળી રહ્યા છે. સેના કોગ્રેસ પાસે માંગી રહી હતી પરંતુ કોગ્રેસે તેના પર ધ્યાન ના આપ્યું. લોકોને હું પૂછવા માંગું છું કે સર્જિકલ સ્ટ્રાઇક બાદ આપણા વીર જવાનોની વીરતા પર સવાલ ઉઠાવવો યોગ્ય છે? શું પાકિસ્તાનના  હીરો બનવાની ઇચ્છામાં ભારત વિરોધી નિવેદન આપનારાઓને દેશની પ્રજા માફી આપશે?