Lok Sabha Election Result 2024: નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એનડીએની બેઠક બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. અગાઉ, એવી અટકળો હતી કે વિરોધ પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવાનો દાવો કરશે. હવે આગામી 8 જૂનના રોજ તેઓ ફરી એકવાર વડાપ્રધાન પદના શપથ લે તેવી શક્યતા છે. 






વાસ્તવમાં લોકસભા ચૂંટણીના પરિણામો મંગળવારે (4 જૂન) જાહેર કરવામાં આવ્યા છે. એનડીએ ગઠબંધનને 293 બેઠકો મળી છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 234 સીટોથી સંતોષ માનવો પડ્યો છે. જોકે, ચૂંટણીના પરિણામો આવ્યા બાદ સરકારને લઈને 24 કલાક સુધી ચાલેલા સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે.






નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનશે


બુધવારે (5, જૂન) એનડીએ ગઠબંધનની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપ સહિત 16 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની લોક કલ્યાણકારી નીતિઓને કારણે ભારતના 140 કરોડ નાગરિકોએ છેલ્લા 10 વર્ષમાં દેશને દરેક ક્ષેત્રે વિકાસ કરતો જોયો છે. ખૂબ લાંબા સમયગાળા પછી લગભગ 6 દાયકાઓ પછી ભારતના લોકોએ સતત ત્રીજી વખત સંપૂર્ણ બહુમતી સાથે મજબૂત નેતૃત્વને પસંદ કર્યું છે.


બેઠકમાં શું ચર્ચા થઈ હતી


ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, “અમને બધાને ગર્વ છે કે એનડીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભા ચૂંટણી એકજૂટ રીતે લડી અને જીતી. આપણે બધા સર્વસંમતિથી NDA નેતા નરેન્દ્ર મોદીને અમારા નેતા તરીકે પસંદ કરીએ છીએ. મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર ભારતના ગરીબો, મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને શોષિત, વંચિત અને પીડિત નાગરિકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે. NDA સરકાર ભારતની ધરોહરને સાચવીને અને દેશના સર્વાંગી વિકાસ માટે ભારતના લોકોના જીવનધોરણને સુધારવા માટે કામ કરવાનું ચાલુ રાખશે.