નવી દિલ્હીઃ બાલાકોટ પર કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના નિવેદનને લઇને વડાપ્રધાન મોદીએ નિશાન સાધ્યું હતું. એક ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કુમારસ્વામીનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, તેમની મતબેન્ક ભારતમાં છે કે પાકિસ્તાનમાં.


કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે પાકિસ્તાનમાં આતંકીઓને માર્યા પરંતુ અહી ભારતમાં કેટલાક લોકોને દર્દ થઇ રહ્યું છે. અહીના મુખ્યમંત્રી એક પગલું આગળ વધ્યા અને કહે છે કે આપણી સેનાની વીરતાની વાત થવી જોઇએ નહીં. તેનાથી તેમની વોટબેન્કને નુકસાન પહોંચે છે. હું તેમને પૂછવા માંગું છું કે તમારી વોટબેન્ક ભારતમાં છે કે પાકિસ્તાનમાં. નોંધનીય છે કે 14 ફેબ્રુઆરીના થયેલા પુલવામા હુમલાના 12 દિવસ બાદ 26 ફેબ્રુઆરીએ રાત્રે સાડા ત્રણ વાગ્યે ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી. એરફોર્સે લગભગ 1000 કિલો બોમ્બ  ફેંકી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ નષ્ટ કર્યા હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોગ્રેસના શાસનમાં દેશમાં જેટલા પણ આતંકી હુમલા થયા તેના તાર પાકિસ્તાનમાં જોડાયેલા રહ્યા પરંતુ તેમના નેતાઓએ દર વખતે હિંદુ આતંકવાદનું એક ખોટું નામ ઉછાળવાનું કામ કર્યું છે.