નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ઉદયપુરમાં યુવાઓ અને વ્યાપારીઓ સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ જીએસટી, નોટબંધી, હેલ્થકેર, સર્જિકલ સ્ટ્રાઇક અને મહિલાઓ મુદ્દે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી પોતાને હિંદુ ગણાવે છે પરંતુ તેઓ હિંદુત્વનો અર્થ નથી જાણતા. હિંદુ ધર્મનો સાર શું છે? ગીતા શું કહે છે? તમામને તેનું જ્ઞાન છે અને ચારે તરફ ફેલાયેલું છે. આપણા વડાપ્રધાન પોતાને એક હિંદુ કહે છે પરંતુ તેઓ હિંદુ ધર્મના પાયાને સમજી શકતા નથી. તે ક્યા પ્રકારના હિંદુ છે?

રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઇકને લઇને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકને રાજકીય હથિયાર બનાવી દીધું જ્યારે આ નિર્ણય દેશની આર્મીનો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, શું તમે જાણો છો કે નરેન્દ્ર મોદી સરકારની સર્જિકલ સ્ટ્રાઇકની જેમ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહજીના સરકારમાં ત્રણ વખ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી? જ્યારે આર્મી મનમોહન સિંહ પાસે આવી અને કહ્યું કે પાકિસ્તાન જે કરી રહ્યુ છે એવામાં આપણે બદલો લેવાની જરૂર છે તો તેમણે કહ્યુ કે, આપણે તેને પોતાના ઉદેશ્યો માટે ગુપ્ત રાખવાની જરૂર છે.

મોદી સરકારની નીતિઓ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી સમજે છે કે દુનિયાનું બધુ જ્ઞાન તેમના મગજમાંથી નીકળે છે અને બાકીના લોકો કાંઇ જાણતા નથી. યુપીએ સરકારના સમયમાં NPA બે લાખ કરોડ રૂપિયા હતી, મોદી સરકારના ચાર વર્ષના શાસનમાં એનપીએ 12 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. મોદી સરકારે અનિલ અંબાણી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા જેવા લોકોનું લાખો-કરોડો રૂપિયાનું દેવુ માફી કરી દીધું.